ધર્મ અને અધ્યાત્મ પ્રતીકોથી ભરપૂર છે. એ એક અલગ જંગલ છે. જિબ્રાને એકવાર એમ કહ્યું હતું કે પ્રકૃતિને પોતાના રહસ્યો છુપાવવામાં કોઈ રસ નથી, પરંતુ એ કોઈ ખોટા હાથે જઈ ન ચડે એ માટેની એને ચિંતા છે. પ્રભુ ઈસુને ક્રોસ પર ચડાવવામાં આવ્યા ત્યારે એમને માથે કંટકોમાંથી બનાવેલો તાજ પહેરાવવામાં આવ્યો હતો. દુનિયાના સર્વ પરોપકારીઓની ઈસુના હણનારાઓએ કરેલી આ એક ભીષણ મજાક છે. ઈસુની અવતારી જિંદગીની છેલ્લી ક્ષણોમાં તેમના મસ્તિષ્ક સુધી એક નાનું અમથું ફૂલ પણ આ વિશાળ પૃથ્વી પરથી ન પહોંચી શક્યું, કારણ કે
પૃથ્વી પર મનુષ્યોનું શાસન છે. આપણાથી હવે આ ભવમાં એવું ન થાય તે જોવું રહ્યું.
ઉપકાર પર અપકાર જેવું કોઈ પાપ નથી. જેમણે સપનામાંય એક વાર આપણું હિત માત્ર ચિંતવ્યું હોય એમનું સદા કલ્યાણ ચાહવું અને આપણી સર્વ પ્રાર્થનાઓના ફળ એમને અર્પણ કરવા જે એની અમી દૃષ્ટિથી આપણને જુએ છે. ક્યારેક એવું બને કે પરિજનોની નજર તિરસ્કારતી હોય અને વડલાને છાંયે પરબ પર બેઠેલી પાણી પીવરાવતી રૂખડની વહુ તમને વાત્સલ્યભરી નજરે જોતી હોય તો ભગવાનનો ઉપકાર માનો કે હજુય આ વસુંધરા પર કોઈ બે આંખો છે જે મા દિવંગત થયા પછીય તમારા પર અમૃત વરસાવે છે. જેમના ઘરમાં જ અમૃતના ઝરણાં વહેતા હોય તેઓ પૂર્વના સત્કર્મી હોય છે. તેઓનું તો ઘર જ તીર્થ છે. ઈસુનું બીજું નામ જ અમિયલ હેતાળ નજર છે. કરૂણતાની સામે કરૂણા એ જ તો ઈસુ છે.
ઈસુના મસ્તિષ્ક પર જે કંટકો છે તે તેમણે દુઃખીજનો પાસેથી લઈ લીધેલા દર્દ છે. એ સર્વ દર્દ જે.. તેમણે અન્યોને સુખી કરવા, સ્વયં ધારણ કર્યા, એના પ્રતીકરૂપે જ ઈસુનું અંતિમ દર્શન છે. ઈસુનો એક ચાહક વર્ગ એવો છે જે એમને એટલે ઉપાસે છે કે આ દુનિયામાં એક અસ્તિત્વ એવું છે જે બીજાઓના દુઃખનું હરણ કરવા માટે ઉત્સાહિત છે. આપણે ત્યાં
સંસ્કૃતમાં ‘હરિ’ શબ્દ દુઃખના હરનારા પરમત¥વ તરીકે આ જ અર્થમાં લોકપ્રિય છે. અગાઉ હતા તેવા સર્વકાલીન ઈસુ ઈહલોકમાં હવે ભલે ન મળે પરંતુ જે તે સમય માટે આપણા પર જેની શીતછત્ર છાયા-માયા હતી તેઓ સહુ એટલા સમય પૂરતા તો ઈસુ જ છે. અને આજે જેમના તરફથી આપણને નિરંતર પ્રેમ અને શાન્તિ મળે છે તેઓ આજે પણ આપણા ઈસુ છે.
આ જગતમાં આપણને ઈસુનો ઈસુત¥વ તરીકેનો વારંવારનો પરિચય હોય છે. બસમાં ઊભા ઊભા મુસાફરી કરતા હોઈએ ને કોઈ કહે કે હવે ઘડીક તમે બેસો, હું ઊભો રહીશ તો એ પરિબળ શું છે ? દેવોમાં સર્વગુણ સંપન્નતા એકરૂપે મૂર્તિમંત હોય છે. પરંતુ એ સર્વ ગુણો મનુષ્યોમાં છુટક છુટક તો હોય છે જ. દેવો કંઈ એકલા સદગુણોના માલિક નથી. ફેર એ છે કે તેઓનામાં એક પણ માઈનસ વિના પ્લસના સાત સાગર લહેરાતા હોય છે. એટલે ઘેઘૂર રીતે એમની છાયા આપણા અંતઃકરણને ઘેરી લે છે. દેવો આપણને એવી નિંરાત આપે છે જે બહુ સરળતાથી અન્યત્રે મળતી નથી. પણ મનુષ્યોમાં પણ કોઈ કોઈ હૃદયમાં આપણે માટેના દેવ છુપાયેલા હોય છે. સંકટ આવે ત્યારે એવા છુટક ગુણ ધરાવતા મનુષ્યરૂપેણ દેવોનો આપણને સાક્ષાત્કાર થાય છે.
ખ્રિસ્તી ધર્મ પાળનારા ઈસુના અનુયાયીઓ સિવાયના અન્ય ધર્મોના લોકોને ઈસુના જે ગુણ આકર્ષે છે એમાં પ્રેમ અને ક્ષમા મુખ્ય છે. ઈસુનું સ્વરૂપ પરમ પિતા તરીકે છે. આપણા કોઈ પણ અપરાધોને ક્ષમા કરીને એ દરેકને નૂતન જીવનનું પ્રભાત આપવા બેઠાં છે. ભૂતકાળના અસત્ કર્મોથી મનુષ્યનો છેડો ફાડી આપવાનું કામ એ ખ્રિસ્તી ધર્મનું લોકજીવનમાં મહત્ યોગદાન છે. ખ્રિસ્તની ક્ષમા અરધા જગતને આવરી લે છે. કેટલાક પાદરીઓ અને પ્રચારકોને કારણે ખ્રિસ્તને પણ બદનામી મળી છે પરંતુ એનો આરંભ તો સમગ્ર માનવજાતના ચૈતસિક ઉત્થાન માટે થયેલો છે. અને આમ પણ કોઈ પણ ધર્મ એના આરંભે જેવો વિશુદ્ધ અને શાન્તિદાયક હોય છે એવો તો એની શાખા-પ્રશાખામાં નહિ હોવાનો. ખ્રિસ્તી ધર્મમાં કન્ફેશનની જે પ્રણાલિકા છે એણે રાહ ભટકેલાઓને ફરી મૂળ સફરના માર્ગ સુધી પહોંચાડ્યા છે.
પહેલા તો ધર્મ હોય ત્યાં વિવાદો શમી જતા, જેમ ઋષિના આશ્રમમાં પ્રવેશતાવેંત હિંસક પ્રાણીઓ, માયાળુ થઈ જતાં. હવે ધર્મમાત્રમાં વિવાદ હોય છે. આંતરિક પણ હોય અને બહારના પણ હોય. ખ્રિસ્તી ધર્મ પણ વિવાદોથી પર નથી.
જિંદગીમાં પ્રથમ ત્રીસ વરસ જેમણે માત્ર સુથારીકામ કર્યું અને જિંદગીમાં પોતાના વતનથી ૨૦૦ કિલોમીટર દૂર પણ જેમણે કદી પગ ઉપાડ્યો નથી એ ઈસુના વિશુદ્ધ અને સાંત્વનાયુક્ત વિચારોએ અરધા ઉપરાંતની દુનિયાને પોતાના ઘટાટોપ વાત્સલ્યમાં આવરી લીધી છે. પ્રેમ અને શાન્તિનો સ્વભાવ સ્વયં વિસ્તરવાનો છે એ ઈસુએ આપણને શીખવ્યું છે.