દેશના આદિજાતિ નાગરિકોનાં સર્વાંગી વિકાસની સંકલ્પનાને સાકાર કરવાના ધ્યેય સાથે આદિજાતિ મંત્રાલયના ઉપક્રમે આયોજિત ‘ધરતી આબા જનભાગીદારી’ અભિયાન હેઠળ તમામ યોજનાલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરાવવાના હેતુથી વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં ‘ભગવાન બિરસામુંડા’ની ૧૫૦મી જન્મજયતિ નિમિતે ‘ધરતી આબા જનભાગીદારી અભિયાન’નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તા. ૩૦ જૂનથી ૧૫ જુલાઈ-૨૦૨૫ સુધી ધરતી આબા જન ભાગીદારી અભિયાન યોજાયું હતું. આ અભિયાન હેઠળ વિવિધ જિલ્લામાં યોજાયેલા કુલ ૭૬૭ જેટલા યોજનાલક્ષી કેમ્પનું આયોજન કરીને માત્ર ૧૫ દિવસમાં ૨૧ જિલ્લાના ૧.૧૦ લાખથી વધુ આદિજાતિ લાભાર્થીઓને વિવિધ ૨૨ યોજનાલક્ષી સેવાઓનો ઘરઆંગણે લાભ અપાયો છે. આમાં ૫ લાખથી વધુ આદિજાતિ ભાઈ-બહેનો સહભાગી થયા હતા તેમ, આદિજાતિ વિકાસ મંત્રી ડા. કુબેર ડિંડોરે ‘ધરતી આબા જન ભાગીદારી અભિયાન’ની ગુજરાતમાં જ્વલંત સફળતા અંગે ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ડા. ડિંડોરે વધુમાં કહ્યું હતું કે, આદિવાસીઓના સર્વાગી વિકાસ માટે સૌનો સાથ,સૌનો વિકાસ અને સૌની સહભાગીદારીના સંકલ્પને સાર્થક કરવા તથા અનેકવિધ વિકાસ કાર્યક્રમો-જન કલ્યાણલક્ષી યોજનાઓ આદિવાસી કુટુંબો સુધી પહોંચે તે હેતુથી ગુજરાત સહિત દેશભરમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ગુજરાતના ૨૧ જિલ્લાઓમાં ધરતી આબા જન ભાગીદારી અભિયાનના માધ્યમથી સરકારના વિવિધ વિભાગોએ ઘર આંગણે આદિજાતિઓને આદિજાતિ સમુદાયના ૨૨,૨૨૬ નાગરિકોને આધાર કાર્ડ, ૨૨,૨૮૭ ને આયુષ્યમાન ભારત કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ૧૩,૯૬૨ ખેડૂતોને લાભ ૧૧,૩૧૩ નાગરિકોને રેશનકાર્ડનો લાભ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત ૯,૬૪૮ને પોષણ અભિયાન હેઠળ, ૮,૨૦૭ને જાતિ પ્રમાણપત્ર, ૮,૨૩૦ આદિમ જૂથ કુટુંબોને જાતિ પ્રમાણપત્ર કાર્ડ, ૩,૭૨૪ને પેન્શન યોજના, પીએમ સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૨,૭૬૫નો લાભ, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત ૧,૮૨૯, પીએમ જનધન યોજના અંતર્ગત ૧,૩૫૨, પીએમ માતૃવંદના યોજના હેઠળ ૧,૩૮૨ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૧,૦૭૫, પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત ૧,૦૯૭, ૭૯૮ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ, ૮૪૬ લાભાર્થીઓને વન અધિકાર પત્ર, પીએમ વિશ્વકર્મા હેઠળ ૬૫૨, સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ હેઠળ ૨૫૫ જ્યારે વન ધન યોજના હેઠળ ૧૧૫ નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વત કરવામાં આવ્યા છે. આ સિવાય આદિજાતિ ભાઈ-બહેનોની આરોગ્યની ચિંતા કરીને આ અભિયાન અંતર્ગત ૨૦,૯૪૧ સિકલસેલના ટેસ્ટ તેમજ ૪,૦૫૪ જેટલા ટીબીના કેસનું સફળ ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે.
આદિજાતિ વિકાસ રાજય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ આ અભિયાન અંતર્ગત ટીઆરઆઇ ગુજરાત આયોજીત વ્યારા ખાતેના ૧૨ જુલાઈ ૨૦૨૫ના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને અભિયાનમાં જાડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને લાભ મેળવનાર આદિજાતિના લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ અભિયાન હેઠળ યોજાયેલા ૭૬૭ જેટલા કેમ્પ સ્થળોએ ૫૨૧ જેટલા આદિજાતિ પરંપરાગત વોલ પેઇન્ટીગ, ૨,૪૫૯ જેટલા વિવિધ પોસ્ટર, તેમજ ૩,૪૪૪ સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. જેનો આદિવાસી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર લાભ લીધો હતો. સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયતિ ઉજવાઈ રહી છે. આ અભિયાન હેઠળ ગામમાં કેમ્પ કરીને આદિવાસી સમુદાયના નાગરિકોને વિવિધ પ્રકારના હેલ્થકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, જમીન ચકાસણી કાર્ડ, આવાસ યોજના, સ્વરોજગારીના સાધનો, વીજળીનો લાભ જેવા અનેક યોજનાકીય લાભો ઘર આંગણે આપવામાં આવ્યા હતા.