ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, લોકશાહી વ્યવસ્થામાં આપણને સૌને એટલે કે દરેક ભારતીયને સંવિધાને મતનો અધિકાર આપ્યો છે. દેશના બંધારણે સમાનતાના અધિકારના ભાગસ્વરૂપ એક વ્યક્તિ એક વોટનો અધિકાર આપેલો છે. દેશના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય કે પછી સામાન્ય નાગરિક હોય તે દરેકના મતની કિંમત સમાન છે. દેશના લોકોના બંધારણના અધિકાર છીનવવા માટે પારંગત એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના શાસનમાં જે ચૂંટણી પંચ સ્વાયત છે જેની પાસે આ દેશના લોકો પ્રમાણિકતા અને નિષ્પક્ષતાની અપેક્ષા રાખે છે એ ચૂંટણી પંચ આજે ભારતીય જનતા પાર્ટીની કઠપુતળી બની ગઈ છે.

તેમણે કહ્યું હતું કે આખા દેશમાં વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે વોટ ચોરી ચાલી રહી છે. એટલા જ માટે દેશના જનનેતા લોકસભામાં વિપક્ષના નેતા સાંસદશ્રી રાહુલ ગાંધીજીએ જે દેશના લોકોના મનમાં શંકા હતી કે ક્યાંકને ક્યાંક ચૂંટણીઓમાં કાંઈક ખોટુ થાય છે, ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી કામ નથી કરતું, ક્યાંક ને ક્યાંક ભાજપને સમર્થન કરે છે. એજ પ્રમાણે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નવસારી લોકસભાની ચોર્યાસી બેઠક પર ૨,૪૦,૦૦૦ મતદારોની ચકાસણી કરતા ૩૦,૦૦૦ કરતા પણ વધારે નામો ક્યાંક શંકાસ્પદ, ડુપ્લીકેટ અથવા ખોટા હતા તે પણ સ્પષ્ટ પુરાવા સાથે સાબિત થયું છે. આમ આખા દેશમાં વોટ ચોરી થઈ રહી છે. વોટ ચોરીથી ચૂંટણીઓ જીતી જવાય છે એટલા માટે ગુજરાત હોય કે દેશની સરકાર હોય પ્રજા એકબાજુ મોંઘવારીથી પરેશાન છે, યુવાઓને રોજગાર નથી મળતો, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, વેપારીઓના ધંધા-વેપાર ચોપટ થઈ ગયા છે, ગરીબ-સામાન્ય માણસને કોઈપણ અધિકાર કે ન્યાય નથી મળતો, બધા જ વર્ગ-વિસ્તારના લોકો પરેશાન છે. પણ સરકાર બિંદાસ છે કારણ કે સરકારને ખબર છે કે ભલે લોકો ગમે તેટલા નારાજ હોય પણ ચૂંટણીઓ આવશે એટલે અમે વોટ ચોરી કરીશું, ચૂંટણીઓ આવશે એટલે અમે ચૂંટણી પંચને સાથે રાખીને અમે વોટ ચોરી કરી ચૂંટણીઓ જીતી જઈશું. ભલે લોકો ખાડામાં પડે, ભલે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડે, ભરે પેપર ફુટે, ભલે યુવાનોને નોકરીઓના મળે, કર્મચારીઓ આંદોલન કરે, કામદારો પરેશાન હોય પણ સરકારનો કોઈની ચિંતા નથી કારણ કે સરકારમાં બેઠેલા લોકો આ વોટચોરી સાથે સીધા સંડોવાયેલા છે.

આ શંકાને ઉજાગર કરી અને એના કારણે વારંવાર ચૂંટણીઓના પરિણામો આવે ત્યારે જુદા જુદા રાજ્યોમાંથી એવો અવાજ ઉઠતો કે ચૂંટણી પંચની કામગીરી નિષ્પક્ષ નથી અને આ ચૂંટણીઓમાં ક્યાંક ગોલમાલ કે ખોટુ કરવામાં આવ્યું છે તે પ્રેસકોન્ફરન્સના માધ્યમથી સચોટ પુરાવા સહિત સાબિત કર્યું હતું અને વોટચોરીના નેક્સેસ સમગ્ર દેશ સમક્ષ ખુલ્લુ પાડ્યું હતું. ચૂંટણી પંચની અનેક ગેરરીતિઓ લોકો વચ્ચે ઉજાગર કરવા અને વોટ ચોરીને અટકાવવાના ઉદ્દેશ્યથી એઆઈસીસીની સૂચના અનુસાર ગુજરાતમાં તારીખ ૩ થી ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ‘વોટ ચોર – ગાદી છોડ’ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશભરમાં આ સહી ઝુંબેશ દ્વારા ૫ કરોડથી વધુ સહી એકત્ર કરીને ખરા અર્થમાં લોકતંત્રને બચાવવાની મુહિમ  હાથ ધરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન તથા કાર્યકર્તાઓ આ ‘વોટ ચોર – ગાદી છોડ’ સહી ઝુંબેશમાં ખૂબ જ સક્રિય રૂપે જોડાઈને વોટ ચોરીને ખુલ્લી પાડશે.