અમરેલી પંથકમાં સિંહ ગામડાઓમાં શિકાર માટે ઘૂસી આવતા હોવાના બનાવ ફરી એકવાર પ્રકાશમાં આવી રહ્યા છે. સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે વહેલી સવારે પાંચ વાગ્યે બે ડાલામથ્થા સિંહ અને એક સિંહણ ગામમાં ઘૂસી આવ્યા હતા. આ સિંહોએ ગોબરભાઈ સોજીત્રાના ઘરના ડેલા પાસે અને શાક માર્કેટ નજીક બે વાછરડાનો શિકાર કર્યો હતો અને ત્યાં જ મિજબાની માણી હતી. સિંહોના આગમનથી ગામના ચોકમાં આરામ કરતી ગાયોમાં ભાગદોડ મચી ગઈ હતી. નોંધનીય છે કે, હજુ ત્રણ દિવસ પહેલા જ એક સિંહણ શિકાર માટે આંબરડી ગામમાં ઘૂસી હતી. વહેલી સવારનો સમય હોવાથી કોઈ અવરજવર ન હોવા છતાં, ફરી ત્રણ સિંહ ગામમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.