અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં દીપડાનો આતંક યથાવત છે. સોમવારે વહેલી સવારે મુકેશભાઈ નાનુભાઈ કુકવાવા (ઉ.વ.૩૫) પર દીપડાએ હુમલો કરતાં તેઓ ઘાયલ થયા હતા. મુકેશભાઈની માતાએ ઘરના ફળીયામાં દીપડો બેઠો હોવાની જાણ કરતા મુકેશભાઈએ દીપડાને ભગાડવાનો પ્રયાસ કરતા દીપડાએ મુકેશભાઈ પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાયો છે. વાંકીયા ગામના મહિલા સરપંચ નયનાબેન દાતેવાડીયાએ જણાવ્યું કે, ગામમાં દીપડાની અવરજવર ખૂબ વધી ગઈ છે, જેના કારણે ખેડૂતો અને ખેતમજૂરોને ખેતરમાં કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે વન વિભાગને અનેકવાર રજૂઆતો કરી છે. ચાર દિવસ પહેલા પણ દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની માગ કરવામાં આવી હતી, પરંતુ વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે.