મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આવેલી તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ એકબીજા પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. શાળા છૂટ્યા બાદ આ ઘટના બની હતી, જેમાં ૮મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ તેના જ સહપાઠીને ચપ્પુના ઘા માર્યા હતા. સદનસીબે, અમદાવાદ જેવી મોટી દુર્ઘટના થતાં રહી ગઈ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઈજાગ્રસ્ત બાળકના પિતાએ જણાવ્યું કે, “શાળામાં બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. આ ઝઘડામાં બીજા બાળકે મારા બાળકને છરી મારી.” તેમણે વધુમાં જણાવ્યું કે, “મારા બાળકને ડાબા ખભાથી નીચે સુધી પાંચ જેટલા ઘા મારવામાં આવ્યા છે. બંને બાળકો વચ્ચે શું કારણ હતું તે જાણી શકાયું નથી, પરંતુ અંદરોઅંદરના ઝઘડાને કારણે આ મારામારી થઈ હતી.”

ઈજાગ્રસ્ત બાળકના પિતાએ આ ઘટના અંગે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે તેમને શાળાના શિક્ષકે ફોન કર્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું કે બાળકને કંઈક વાગ્યું છે. શાળાએ પહોંચ્યા બાદ જ તેમને આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. હાલ બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.