અમદાવાદની સ્પેશિયલ પોસ્કો કોર્ટે એક અત્યંત સંવેદનશીલ કેસમાં ખોખરા પોલીસ સ્ટેશનની તપાસને કડક શબ્દોમાં નકારી કાઢી છે. કોર્ટે પોલીસ દ્વારા રજૂ કરાયેલ ‘સી’ સમરી રિપોર્ટને સંપૂર્ણપણે ફગાવી દીધો છે અને નવેસરથી સઘન તપાસના આદેશ આપ્યા છે. જજ અસ્મિકાબેન ભટ્ટે આ કેસમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, સગીર પીડિતા માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં તેની ફરિયાદને આપમેળે ખોટી ગણી ન શકાય.કોર્ટે ભાર મૂક્યો કે આવા સંવેદનશીલ કેસમાં પીડિતાની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ કાળજીપૂર્વક અને સંવેદનશીલ તપાસ કરવી જરૂરી છે, નહીં કે તેને આધારે કેસને બંધ કરી દેવો.
ખોખરા પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પીડિતા સગીરા માનસિક બીમારીની દવા લે છે અને તેને કાલ્પનિક વાર્તાઓ બનાવવાની આદત છે. મેડિકલ તપાસમાં પીડિતાના કપડાં પરના લોહીના ડાઘને માસિક ધર્મ સાથે સંબંધિત ગણાવ્યા હતા. આસપાસના સાક્ષીઓએ કોઈ ઘટના જાવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે નિષ્કર્ષ કાઢ્યો હતો કે પીડિતાએ માતા-પિતાના ડરથી બચવા માટે દુષ્કર્મની ખોટી વાર્તા ઊભી કરી છે.
જાકે, સ્પેશિયલ પોસ્કો કોર્ટે આ તમામ કારણોને અપૂરતા, અસંવેદનશીલ અને અપર્યાપ્ત ગણાવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે “માનસિક અસ્વસ્થતા ધરાવતી સગીર પીડિતા જૂઠું જ બોલે છે તેવું આપમેળે માની શકાય નહીં.” આવા કેસમાં પીડિતાના કાયદાકીય અધિકારોનું રક્ષણ કરવું અને તેની વાતને ગંભીરતાથી લેવી જરૂરી છે.
મેડિકલ ઓફિસરના રિપોર્ટમાં નોંધાયું છે કે પીડિતાની છાતીના ભાગે જાવા મળેલી ઈજાઓ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી અને તે ‘સેલ્ફ ઇન્ફ્લીક્ટેડ’ નહોતી.પીડિતાએ ડોક્ટરને જણાવ્યું હતું કે તેના હાથ પરના સિગારેટના ડામ તેણે પોતે કર્યા છે, પરંતુ અન્ય ઈજાઓ અજાણ્યા શખ્સ દ્વારા કરાઈ હતી.આ વિગત સ્પષ્ટ કરે છે કે પીડિતા સંપૂર્ણપણે ખોટું બોલી રહી નથી અને તેની વાતમાં વિશ્વસનીયતા છે.કોર્ટે નોંધ્યું કે પોલીસ તપાસ અધિકારીએ ગુનેગારને શોધવાને બદલે માત્ર પીડિતાની માનસિક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને કેસ બંધ કરવામાં વધુ રસ દાખવ્યો છે.
કોર્ટે પીડિતાએ આપેલા વર્ણન મુજબ આરોપીનો સ્કેચ તૈયાર કરીને સઘન શોધખોળ કરવાના આદેશ આપ્યા છે.તેમજ આગળની કાર્યવાહી માટે તપાસને નવેસરથી હાથ ધરીને વધુ પુરાવા એકત્ર કરવા જણાવ્યુ છે. સાથે જ આગામી ૩૦ દિવસમાં વિગતવાર પ્રગતિ અહેવાલ કોર્ટમાં રજૂ કરવાનું પણ કોર્ટે કહ્યું છે.