અમદાવાદ શહેરમાં હનુમાન જયંતી પૂર્વે ભક્તિભાવનો માહોલ જામ્યો છે. હનુમાન જયંતીના પર્વ નિમિત્તે શહેરમાં આજે ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો.
હનુમાન જયંતી પૂર્વે અમદાવાદના હનુમાન કેમ્પ મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ હાજર રહ્યા હતા. તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરીને શોભાયાત્રાને લીલી ઝંડી આપી હતી. આ શોભાયાત્રાનું આયોજન હનુમાન કેમ્પ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટી સુધીર નાણાવટી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. યાત્રાની શરૂઆત હનુમાન કેમ્પ મંદિરથી થઈ અને વાસણા ખાતે આવેલા વાયુદેવ મંદિર સુધી તેનો માર્ગ નક્કી કરવામાં આવ્યો હતો.
આ ભવ્ય શોભાયાત્રામાં પરંપરાગત ભગવાનના સજાવટ કરેલા રથો સાથે કુલ ૧૧ અલગ-અલગ ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા. દરેક ટેબલોમાં ધાર્મિક અને સામાજિક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આ વર્ષે “ઓપરેશન સિંદૂર” વિષય પર આધારિત ટેબલો લોકોને ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. યાત્રામાં જાડાયેલા ભક્તો જય શ્રી રામ અને જય હનુમાનના નારા સાથે ભક્તિમય માહોલ ઊભો કર્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી આ યાત્રા જાવા માટે રસ્તાઓ પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.
આ શોભાયાત્રા દિવસભર શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સાંજે ફરી હનુમાન કેમ્પ મંદિર ખાતે પરત ફરવાની છે. યાત્રા દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હનુમાન જયંતી પૂર્વે યોજાયેલી આ શોભાયાત્રાએ શહેરમાં ધાર્મિક એકતા અને ઉત્સાહનો સુંદર માહોલ ઉભો કર્યો છે. જેમાં નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો ઉત્સાહપૂર્વક જાડાયા હતા.










































