અમદાવાદમાં ચોમાસાની શરૂઆત ગમે ત્યારે થઈ શકે છે, અને આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરીજનોને વરસાદી સમસ્યાઓથી બચાવવા સજ્જ છે. એઆઇ ટેક્નોલોજી અને અદ્યતન સોફ્ટવેરની મદદથી એએમસીએ એક ખાસ કન્ટ્રોલ રૂમ તૈયાર કર્યું છે, જે શહેરના ૧૪૭ વોટર લોગિંગ સ્પોટ્‌સ પર નજર રાખશે અને ત્વરિત કાર્યવાહી કરશે. આવો, જાણીએ આ નવતર પહેલથી શહેરીજનોને કઈ રીતે રાહત મળશે.

અમદાવાદમાં ચોમાસું આવે એટલે વોટર લોગિંગની સમસ્યા સામાન્ય બની જાય છે, પરંતુ આ વખતે એએમસીએ આગોતરી તૈયારીઓ કરી લીધી છે. શહેરના ૭ ઝોનમાં ૨૭ રેઇન ગેજ લગાવવામાં આવ્યા છે, જે વરસાદની તીવ્રતાને માપશે. એએમસીના કન્ટ્રોલ રૂમમાં એઆઇ આધારિત ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે, જે ભૂતકાળના ડેટા અને હવામાન વિભાગના એલર્ટના આધારે દર ૧૫ મિનિટે વરસાદની તીવ્રતાની માહિતી આપશે. આ સિસ્ટમમાં શહેરના ૧૪૭ વોટર લોગિંગ સ્પોટ્‌સનો ડેટા ફીડ કરાયો છે, જેથી ચોક્કસ સ્થળે ત્વરિત કાર્યવાહી થઈ શકે.

આ વિશે એએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશરના મિરાંત પરીખે જણાવ્યું કે અમે આ વખતે એઆઇ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોમાસાની સંપૂર્ણ તૈયારી કરી છે. અમારું કન્ટ્રોલ રૂમ ૨૪ટ૭ કામ કરશે, અને દર ૧૫ મિનિટે મળતા એલર્ટના આધારે અમારો સ્ટાફ વોટર લોગિંગ સ્પોટ્‌સ પર તાત્કાલિક પહોંચી જશે. આનાથી શહેરીજનોને ઝડપથી રાહત મળશે.

એએમસીના એડિશનલ સિટી ઈજનેર દેવાંગ દરજીએ કહ્યું કે, ‘અગાઉ વરસાદ શરૂ થયાના ૧ થી દોઢ કલાક બાદ એએમસીનો સ્ટાફ સ્થળ પર પહોંચતો હતો, પરંતુ હવે યલો એલર્ટ મળતાની સાથે જ સ્ટાફને ચોક્કસ સ્થળે મોકલવામાં આવશે. આ ઉપરાંત, હવામાન વિભાગ દ્વારા પુણે શહેરની તર્જ પર અમદાવાદ માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ડેટા એનાલિસિસ અને એલર્ટ સિસ્ટમને વધુ સચોટ બનાવશે.’

આ નવી સિસ્ટમથી શહેરના નાગરિકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી ઝડપથી રાહત મળશે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને આનો લાભ થશે, કારણ કે એએમસીનો સ્ટાફ હવે લાઈવ એલર્ટના આધારે તાત્કાલિક કાર્યવાહી કરશે.