અમદાવાદના જુહાપુરામાં મંગળવારે (૧૦ જૂન) સવારે મુખ્ય માર્ગની બાજુમાં સરકાર જમની પર આવેલા ગેરકાયદે ઝુબેદા હાઉસની તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. કથિત રીતે ઈતિહાસકાર નઝીર વોરા દ્વારા બનાવેલી તેમજ સંચાલિત આ મિલકત છેલ્લાં ઘણા સમયથી તપાસ હેઠળ હતી.
કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત હેઠળ આ મિલકત તોડી પાડવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે વરિષ્ઠ અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, આ મિલકત ૨૦,૦૦૦ ચોરસ ફૂટમાં સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવી હતી, જેને નઝીર વોરા દ્વારા વોરા ફાર્મહાઉસના રૂપે બનાવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વોરાએ આ જગ્યાએ બાળકો માટે મનોરંજનની સુવિધા પણ ઊભી કરી હતી. આ સિવાય તે આ ફાર્મહાઉસને લગ્ન સમારોહ અને અન્ય પારિવારિક ઇવેન્ટ માટે ભાડે આપતો હતો. અધિકારીએ જણાવ્યું કે, આ જમીન સરકારી હોવા છતાં, તેનો વેપાર માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
મળતી માહિતી મુજબ, નઝીર વોરાનો લાંબો ગુનાઈત રેકોર્ડ છે, તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી, હુમલો અને ગેરકાયદે જમીન પચાવી પાડવાના આરોપો સહિત ૨૯થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. અધિકારીના જણાવ્યા અનુસાર, ‘આ મિલકત તોડી પાડવાની કામગીરી શહેરમાં જમીન માફિયા અને અન્ય ગેરકાયદે બાંધકામો સામે ચાલી રહેલા અભિયાનનો એક ભાગ છે. આ કાર્યવાહી એ સ્પષ્ટ સંદેશ છે કે કોઈ પણ કાયદાથી ઉપર નથી, ભલે તેમનો પ્રભાવ કે ભૂતકાળનો રેકોર્ડ ગમે તે હોય. હાલ વોરા સામે નોંધાયેલા અન્ય ગુનાઓની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.’