દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીની લાશ મળી હતી. આ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરીને તેની હત્યા શાળાના આચાર્ય ગોવિંદ નટે કરી હતી. આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

દાહોદમાં ૬ વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. બળાત્કાર બાદ રાજ્યભરમાં ઘટના અંગે રોષ જોવા મળ્યો હતો. સરકાર પક્ષે ઘટનાના માત્ર ૧૨ દિવસમાં ગંભીરતા પૂર્વક ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જેમાં ૧૫૦ સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ૩૧ સાક્ષી સરકાર પક્ષે તપાસ્યા ઉપરાંત દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા. આ કેસમાં માત્ર ૩૪ હિયરિંગમાં જ કેસની ટ્રાયલ પૂર્ણ થઈ હતી. સરકારે આ કેસમાં વિશેષ સરકારી વકીલ તરીકે અમિત નાયરની નિમણૂક કરી હતી. આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ તોયણી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેની શાળામાંથી જ મળ્યો હતો. જે બાદ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, તેનું મોઢું દબાવીને મારવામાં આવી છે. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે જિલ્લાની એલસીબી તેમજ અન્ય બ્રાન્ચો અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ હતી.

મૃતકની માતાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, ૧૯મી સપ્ટેમ્બરના રોજ તેમણે દીકરીને શાળાના આચાર્ય ગોવિંદ નટ સાથે તેમની કારમાં મોકલી હતી. જેથી પોલીસે આચાર્ય અને શાળાના શિક્ષકોની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આચાર્યએ જણાવ્યું હતું કે, બાળકીને હું મારી કારમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો પરંતુ ગાડીમાંથી ઉતરીને ક્યાં ગઈ તેની મને ખબર નથી. જે બાદ હું મારી રોજિંદા કામ કરવા લાગ્યો હતો. સાંજે શાળા છૂટ્યા બાદ હું મારા ઘેર જતો રહ્યો હતો.

આચાર્યની વાત સાંભળીને પોલીસને તેની કડક પૂછપરછ કરી હતી. આચાર્યના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ પણ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ઘટસ્ફોટ થયા હતા. આચાર્યની કડક પૂછપરછ કરતા તેણે તમામ માહિતી જણાવી હતી. આચાર્યએ બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસ સમક્ષ તેણે જણાવ્યું હતું કે, બાળકીને ગાડીમાં બેસાડ્યા બાદ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. જેથી બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી. જેથી તેને ચૂપ કરવા મોઢું દબાવી દીધું હતું. જેથી તે બેભાન થઈ ગઈ હતી. વિદ્યાર્થિનીને ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં લઈ આવ્યો હતો. શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે જાતે જ બાળકીને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડની દીવાલ વચ્ચે મૂકી દીધી હતી. આટલું જ નહીં, બાળકીની સ્કૂલ બેગ, ચંપલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધા હતા. આ કબૂલાત બાદ પોલીસે આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરવામાં આવી હતી.