અંતે વક્ફ એક્ટમાં સુધારો થઈ ગયો. નરેન્દ્ર મોદી સરકારે વકફ એક્ટ, ૧૯૯૫માં સુધારો કરવા માટેનો ખરડો સંસદનાં બંને ગૃહોમાં પસાર કરી દીધો અને હવે રાષ્ટ્રપતિની સહી થતા જ નવો વક્ફ એક્ટ અમલમાં આવી ગયો. વિપક્ષોએ વક્ફ એક્ટમાં સુધારાનો વિરોધ કર્યો હતો. કેટલાક વિપક્ષી નેતાઓ આ સુધારા સામે સુપ્રીમ કોર્ટમાં પણ ગયા છે. વક્ફ એક્ટમાં સુધારા દ્વારા દેશના બંધારણને નાગરિકોને આપેલા મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે એવી તેમની દલીલ છે. સુપ્રીમ કોર્ટ આ દલીલ સ્વીકારે એવી શક્યતા ઓછી છે એ જોતાં વક્ફ એક્ટમાં સુધારાનો કાયદો અમલમાં આવી જશે એ નક્કી છે.
વક્ફ એક્ટમાં કરાયેલા સુધારામાં સૌથી મહત્વની બાબત વકફ એક્ટની કલમ ૪૦માં કરાયેલો સુધારો છે. નરસિંહરાવની સરકારે વકફ એક્ટ, ૧૯૯૫ની કલમ ૪૦ હેઠળ કોઈ પણ સંપત્તિ વકફ છે કે નહીં એ નક્કી કરવાનો અધિકાર વકફ બોર્ડને આપી દીધો હતો. આ કલમનો ભયંકર દુરૂપયોગ કરાયો અને વકફ બોર્ડના ભ્રષ્ટ હોદ્દેદારોની મિલિભગતમાં મુસ્લિમોના બની બેઠેલા ઠેકેદારોએ સંપત્તિઓ હડપ કરી એવા આક્ષેપો મોટા પ્રમાણમાં થયા છે. કોઈપણ સંપત્તિ પર નજર ઠરે એટલે ખોટા દસ્તાવેજો બનાવીને સંપત્તિને વકફ સંપત્તિ જાહેર કરી દેવાતી. આ નિર્ણયને ટ્રિબ્યુનલમાં જ પડકારી શકાતો તેથી કલમ ૪૦ હેઠળ વ્યાપક ભ્રષ્ટાચાર થયો.
ટ્રિબ્યુનલના નિર્ણય સામે અપીલ કરવી હોય તો હાઈકોર્ટમાં જઈ શકાય પણ તેના માટેની કાનૂની પ્રક્રિયા અટપટી હોવાથી લોકો થાકી જતાં. આ જોગવાઈ લેન્ડ ગ્રેબિંગને કાયદેસરતા આપનારી હતી તેથી ખરેખર નાબૂદ થવી જોઈતી હતી. મોદી સરકારે સાથી પક્ષોના કારણે તેને નાબૂદ નથી કરી પણ તેમાં સુધારો કરીને ટ્રિબ્યુનલને બદલે અદાલતોને વધારે સત્તા આપી છે.
આ જોગવાઈના કારણે બે ફાયદા છે. પહેલો ફાયદો ન્યાયતંત્રની મહત્તા સ્થાપિત થઈ છે. લોકશાહીમાં અદાલતોના બદલે કોઈ ટ્રિબ્યુનલ પાસે વધારે સત્તા હોય એ શરમજનક કહેવાય ને મોદી સરકારે એ શરમ દૂર કરી છે. બીજું એ કે, ટ્રિબ્યુનલ પર અંકુશ આવતાં ભ્રષ્ટાચાર ઘટશે.
વક્ફ એક્ટની કલમ ૪૦ના કારણે વક્ફ બોર્ડની છાપ લેન્ડ માફિયા તરીકે પડી ગયેલી કે જે ગમે તેની જમીન પચાવી પાડી શકે છે. કાયદામાં સુધારાના કારણે આ છાપ પણ બદલાશે.

ભારતમાં વક્ફ સંપત્તિઓ ગેરવહીવટનો શિકાર છે. હાલમાં ભારતમાં ૨ લાખ કરોડની વકફ સંપત્તિઓ હોવાનું મનાય છે પણ તેમાંથી માત્ર ૨૦૦ કરોડ રૂપિયાની આવક થાય છે. મતલબ કે, વક્ફ સંપત્તિઓ પર વાર્ષિક વળતર ૦.૧ ટકા મળે છે. બેંક ફિક્સ્ડ ડીપોઝિટના દરે એટલે કે વાર્ષિક ૭ ટકાના દરે ગણીએ તો પણ વર્ષે ૧૪ હજાર કરોડ રૂપિયાની આવક થવી જોઈએ. દેશનાં બીજાં લોકો માટે નહીં પણ માત્ર ભારતના મુસ્લિમોના કલ્યાણ માટે જ આ રકમ વપરાય તો પણ મુસ્લિમોની સામાજિક અને આર્થિક સ્થિતીમાં મોટો ફરક આવી જાય પણ કમનસીબે વક્ફ સંપત્તિઓ પર ચોક્કસ સ્થાપિત હિતો કબજો કરીને બેસી ગયાં છે તેથી તેમના સિવાય કોઈને ફાયદો થતો નથી.
ભારતમાં અત્યારે કુલ ૩૨ વકફ બોર્ડ છે અને તેમની પાસે દેશભરમાં ૮,૭૨,૨૯૨ અચલ મિલકતો છે. મુસ્લિમોના સીધા ઉપયોગમાં લેવાતાં કબ્રસ્તાન, ઈદગાહો, મસ્જિદો વગેરે વકફ એસ્ટેટ ગણાય છે કે જેનો બીજો ઉપયોગ ના થઈ શકે. દેશનાં વકફ બોડ્‌ર્સ પાસે ૩,૫૬,૦૩૧ વકફ એસ્ટેટ અને ૧૬,૧૭૩ ચલ સંપત્તિ છે. ભારતમાં ૩૦ વકફ બોર્ડ સુન્નીઓનાં જ્યારે બે વકફ બોર્ડ શિયાઓનાં છે. ઉત્તર પ્રદેશ અને બિહાર મુસ્લિમોની નોંધપાત્ર વસતી ધરાવતાં રાજ્યો હોવાથી શિયાઓ અને સુન્નીઓનાં અલગ અલગ વક્ફ બોર્ડ છે.
ભારતમાં ૯.૪ લાખ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી વકફની સંપત્તિની કુલ કિંમત ૧.૨૦ લાખ કરોડ રૂપિયા અંદાજાય છે કેમ કે મોટા ભાગની વકફ મિલકતો ખંડિયેર હાલતમાં છે. આ મિલકતોને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે તો ૨ લાખ કરોડ રૂપિયાથી વધારે ઉપજે.
શાશ્વત કમિટીના ચેરમેન જસ્ટિસ શાશ્વત કુમારે ૨૦૧૧માં ભારતમાં મુસ્લિમોની સ્થિતી વિશે રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે ૧.૨૦ લાખ કરોડ રૂપિયાની જમીનો ધરાવતી વકફ સંપત્તિઓ વરસે ઓછામાં ઓછી ૧૨ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી શકે પણ તેના બદલે માત્ર ૧૬૩ કરોડ રૂપિયાની કમાણી થતી હતી. ૨૦૧૦-૧૧માં ભારતમાં સૌથી વધારે કમાણી હરિયાણા વકફ બોર્ડની ૧૭.૦૩ કરોડ રૂપિયા હતી.
શાશ્વત કમિટીના રિપોર્ટ પ્રમાણે, વકફ સંપત્તિઓનું યોગ્ય રીતે સંચાલન કરવા માટે સિનિયર મુસ્લિમ સરકારી અધિકારીઓ જ નથી તેથી મુસ્લિમોના બની બેઠેલા ઠેકેદારો તેનો વહીવટ કરે છે કે જેમને પોતાનાં હિતો સાચવવામાં જ રસ છે. શાશ્વત કમિટીએ વકફ સંપત્તિઓના સંચાલન માટે અલગ કેડર ઉભી કરવા ભલામણ પણ કરી હતી.
કોંગ્રેસ શાસનમાં આ ભલામણનો અમલ ના થયો.
સુધારેલા વક્ફ એક્ટમાં વક્ફ સંપત્તિઓના સંચાલનમાં બિન-મુસ્લિમોનો પણ સમાવેશ કરાશે. તેના કારણે આ સંપત્તિઓનો યોગ્ય રીતે વહીવટ થાય અને કમાણી થાય તો મુસ્લિમોનું જ ભલું થવાનું છે.

ભારતમાં ૮૮ હજારથી વધારે વકફ સંપત્તિઓ કાનૂની વિવાદમાં અટવાયેલી છે.
ભારતમાં વકફ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયા (WAMSI)ની વેબસાઈટ પર તમામ રાજ્યોમાં આવેલી તમામ વકફ સંપત્તિઓની વિગતો ઉપલબ્ધ છે. આ વેબસાઈટના આંકડા પર નજર નાંખો તો ખબર પડે કે, ભારતમાં રેલવે અને સંરક્ષણ મંત્રાલય પછી સૌથી વધુ જમીન વક્ફ બોડ્‌ર્સ પાસે છે.
કમનસીબે વક્ફ સંપત્તિઓને લગતા વિવાદો પણ પુષ્કળ છે. વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે, વેબસાઈટ પર વકફ સંપત્તિને લગતી ૫૮ હજારથી વધારે ફરિયાદો નોંધાયેલી છે. આ સિવાય રાજ્ય સરકારોનાં વકફ બોર્ડ પાસે ૧૨,૭૦૦ કેસો પેન્ડિંગ છે. વકફ ટ્રિબ્યુનલમાં ૧૮,૪૦૦ કેસોનો નિકાલ થવાનો બાકી છે. હાઈકોર્ટો તથા સુપ્રીમ કોર્ટમાં પણ વક્ફના વિવાદના ૧૬૫ કેસ છે. આ બધું મળીને ૮૮ હજારથી વધારે સંપત્તિ થઈ. તેનો મતલબ એ થયો કે, ભારતમાં લગભગ ૧૦ ટકા વકફ સંપત્તિઓ કાનૂની વિવાદમાં ફસાયેલી છે.
બહુ મજાની વાત એ છે કે, આ પૈકીના ૬૦ ટકા વિવાદોમાં બંને પક્ષકારો મુસ્લિમો છે. કોઈએ દાનમાં આપેલી સંપત્તિ બારોબાર વેચીને વકફ બોર્ડના સભ્યોએ કમાણી કરી લીધી હોવાના સંખ્યાબંધ કેસ થયેલા છે. સંખ્યાબંધ વકફ સંપત્તિઓના વહીવટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપના વિવાદ છે. ઘણી સંપત્તિઓ દાનમાં નથી અપાઈ પણ વકફ બોર્ડ દ્વારા પડાવી લેવાઈ છે એ પ્રકારના વિવાદો પણ છે.
ભારતમાં તમામ રાજ્યોનાં વકફ બોર્ડમાં રાજકારણીઓનું પ્રભુત્વ છે. મુસ્લિમ મતબેંકના ઠેકેદારો વકફ બોડ્‌ર્સ પર ગૂંચળું વાળીને બેઠા છે. આ રાજકારણીઓ વકફ સંપત્તિનો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થ સાધવા અને આર્થિક ફાયદો મેળવવા કરે છે તેથી વિવાદો થયા છે.
નવા કાયદાના કારણે વક્ફ બોર્ડનું માળખું બદલાશે તેથી નવા વિવાદો બહુ ઉભા નહીં થાય. જૂના વિવાદોમાં પણ ઝડપથી નિવેડો આવશે તેથી સરવાળે વક્ફ સંપત્તિઓ વિવાદમાંથી મુક્ત થશે અને સમાજને ફાયદો થશે.

મુસ્લિમોએ જાગવાની જરૂર છે. વક્ફ એક્ટમાં સુધારાનો વિરોધ કરી રહેલાં લોકો મુસ્લિમોનાં નહીં પણ પોતાનાં હિતો સાચવી રહ્યા છે એ વાત મુસ્લિમો સમજે એ જરૂરી છે. પોતાના સ્વાર્થ માટે આ લોકો ધર્મના નામે મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મુસ્લિમ સંગઠનો વકફ એક્ટમાં સુધારાનો વિરોધ કરી રહ્યા છે અને એવો પ્રચાર કરી રહ્યાં છે કે, વકફ બોર્ડની સંપત્તિઓ પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કબજો કરવા માગે છે તેથી આ સુધારા કરી રહી છે.
વાસ્તવમાં તેમનો કબજો છૂટી જવાનો છે તેનું દુઃખ છે.
વક્ફ મુસ્લિમોની ધાર્મિક પરંપરા છે ને તેનો ઉદ્દેશ મુસ્લિમોનું ભલું કરવાનો છે. કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિ દાનમાં એટલે આપે છે કે જેથી તેનો ઉપયોગ સમાજના હિતમાં થાય પણ ભારતમાં વક્ફ એટલે કે દાનમાં અપાયેલી મોટા ભાગની સંપત્તિઓનો ઉપયોગ મુસ્લિમોના બની બેઠેલા ઠેકેદારોના ફાયદા માટે થયો છે, મુસ્લિમ સમાજ માટે નહીં. વક્ફ સંપત્તિઓના વહીવટમાંથી એ લોકો માલદાર અને સમૃધ્ધ બન્યા, મુસ્લિમ સમાજ નહીં. હવે આ સ્થિતી સુધરે એવી આશા છે.
sanjogpurti@gmail.com