અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલો ભારતી આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આશ્રમ સાથે જાડાયેલા ઈકાબાપુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ખળભળાટ મચી ગયો છે. વાયરલ વીડિયોમાં એક યુવક સાથે અશ્લીલ હરકતો થતી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.
ભોગ બનનાર યુવકે સામે આવીને ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે તે આશ્રમમાં રહેતો હતો અને ઈકાબાપુ તેને પોતાના રૂમમાં બોલાવી મસાજ તેમજ અશ્લીલ હરકતો કરવા માટે દબાણ કરતા હતા. યુવકે એવો પણ દાવો કર્યો કે ઈકાબાપુ નશો કરતા હતા અને તેને પણ નશો કરવા માટે મજબૂર કરતા હતા.યુવકના જણાવ્યા મુજબ, લાંબા સમયથી ચાલતી આ હરકતોથી કંટાળીને તેણે પુરાવા તરીકે વીડિયો રેકોર્ડ કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
આ મામલે યુવકે પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. યુવકના જણાવ્યા મુજબ, તે પુરાવા સાથે સરખેજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં તેને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ કેસમાં કોઈ ગુનો બનતો નથી કહી તેની અરજી ફાડી નાખી હોવાનો આરોપ યુવકે લગાવ્યો છે.
જાકે, સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ. ચાવડાએ આ આક્ષેપોને નકાર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવકનું નિવેદન લેવામાં આવ્યું છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે.
બીજી તરફ, વીડિયો વાયરલ થતા ભારતી આશ્રમ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. ટ્રસ્ટે ઈકાબાપુને આશ્રમની તમામ જવાબદારીઓમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ તેમને સંસ્થાનું નામ, પદ અને પ્રતિનિધિત્વનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે.ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આરોપો અંગે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ઈકાબાપુનો સંસ્થાથી કોઈ સંબંધ રહેશે નહીં. આ સમગ્ર ઘટનાએ ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.










































