જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે આજે ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ એક ઐતિહાસિક ‘આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે ધોલેરામાં શ્રી મદનમોહનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી, આ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં માનવસેવા અર્થે આ કાર્યક્રમ યોજાશે. આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી આયોજિત આ કેમ્પ સ્થાનિક શાળા ખાતે સવારે ૭ઃ૩૦ કલાકે શરૂ થશે. આ રક્તદાન કેમ્પની વિશેષતા એ છે કે તે દેશ-વિદેશમાં વસતા હરિભક્તો દ્વારા એક જ સમયે અને એક જ દિવસે યોજવામાં આવશે. કેવળ ધાર્મિક ઉત્સવો જ નહીં, પરંતુ ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને સાર્થક કરવા માટે અનેક વિધ અનુષ્ઠાનો અને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. હેમાળ ગામ અને આસપાસના વિસ્તારના લોકોને આ મહાયજ્ઞમાં જોડાઈ રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.