ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ચાલુ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં દક્ષિણ આફ્રિકા સામેની ભારતની સુપર-૮ મેચની પૂર્વસંધ્યાએ ઓપનર અભિષેક શર્માના ફોર્મ વિશે મોટું નિવેદન આપ્યું છે. ડાબોડી બેટ્‌સમેન ચાલુ આઇસીસી ટુર્નામેન્ટમાં રન માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો છે. અભિષેકના ફોર્મથી ચાહકો ચિંતિત છે, પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવને વિશ્વાસ છે કે આ બેટ્‌સમેન તબાહી મચાવશે.
દક્ષિણ આફ્રિકા સામેની મેચની પૂર્વસંધ્યાએ, કેપ્ટન સૂર્યકુમાર યાદવે મીડિયાને સંબોધતા કહ્યું, “જેઓ અભિષેક શર્મા વિશે ચિંતિત છે તેમના વિશે હું ચિંતિત છું. મને ભવિષ્યમાં તેનો સામનો કરનારી ટીમો વિશે વધુ ચિંતા છે. તેણે ગયા વર્ષે બધું જ કર્યું હતું, હવે આપણે તેને પુરસ્કાર આપવાનો સમય આવી ગયો છે.”
સંજુ સેમસન વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “બધું સારું ચાલી રહ્યું છે. ટીમ પાસેથી ઘણી અપેક્ષાઓ છે, પરંતુ વિકેટો થોડી અલગ છે. અમારે દર વખતે ૨૫૦ રન બનાવવાની જરૂર નથી. આપણે આગળ રહેલી પિચોના પડકારોનો સામનો કરીશું.”