નવી દિલ્હીમાં યોજાયેલા ઈન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટને લઈને રાજકીય વિવાદ વધુ તીવ્ર બન્યો છે. સમિટ દરમિયાન ભારતીય યુવા કોંગ્રેસના વિરોધને પગલે, ભાજપના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કર્યું અને સખત વાંધો વ્યક્ત કર્યો.
ભાજપના સાંસદ મનોજ તિવારીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, આ દેશ વિરોધી કૃત્ય માટે દેશના લોકો કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વ ભારતની એઆઇ ક્ષમતાઓને સલામ કરી રહ્યું છે, અને આવી સ્થિતિમાં,એઆઇ સમિટને બદનામ કરવાનો પ્રયાસ દેશ વિરુદ્ધ છે.
ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરતી વખતે દેશ વિરુદ્ધ વિરોધ કરવાના સ્તરે પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે એઆઇ સમિટ કોઈ રાજકીય ઘટના નહીં પણ આંતરરાષ્ટ્રીય ઘટના હતી, અને આવી ઘટનાનો વિરોધ કરવો યોગ્ય નથી.
મનોજ તિવારીએ એવો પણ દાવો કર્યો હતો કે એઆઇ સમિટમાં ૮૦ થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને બધાએ ભારતના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, આવા વૈશ્વિક પ્લેટફોર્મ પર વિરોધ કરવો એ દેશની છબીને નુકસાન પહોંચાડવા સમાન છે.
દરમિયાન, ભારત મંડપમ ખાતે એઆઇ સમિટ દરમિયાન વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં ધરપકડ કરાયેલા ભારતીય યુવા કોંગ્રેસના ચાર સભ્યોને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ધરપકડ કરાયેલા સભ્યોની ઓળખ કૃષ્ણ હરિ, કુંદન યાદવ, અજય કુમાર અને નરસિંહ યાદવ તરીકે થઈ છે.









































