સોમનાથના કોડીનાર તાલુકામાં આવેલી આદિનાથ મહાદેવ મંદિર પાસે એક કરુણ ઘટના સામે આવી છે. મંદિર નજીક આવેલા કુંડમાં ડૂબી જવાથી એક માતા અને તેની બે નાની દીકરીઓના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાથી સમગ્ર આદપોકર ગામમાં શોકની લહેર દોડી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પરિવાર મંદિર દર્શન માટે આવ્યો હતો ત્યારે અચાનક નાની દીકરીનો પગ લપસતા તે કુંડમાં પડી ગઈ હતી. નાની બહેનને બચાવવાનો પ્રયાસ કરતા મોટી દીકરી પણ પાણીમાં ઉતરી હતી, પરંતુ બંને ઊંડા પાણી અને પ્રવાહમાં ફસાઈ ગઈ. દીકરીઓને બચાવવાના પ્રયત્નમાં માતા પણ કુંડમાં ઉતરી હતી, પરંતુ દુર્ભાગ્યવશ ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ અને કોડીનાર નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. માતાને ગંભીર હાલતમાં રાનાવાળા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. લાંબી શોધખોળ બાદ બંને દીકરીઓના મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોના અચાનક અવસાનથી સમગ્ર વિસ્તાર ગમગીનીમાં ગરકાવ થઈ ગયો છે અને ગામમાં શોકનો માહોલ છે.