આઇપીએલ ૨૦૨૬ પહેલા પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝને મોટો ઝટકો લાગ્યો છે. ગયા સિઝનમાં ફ્રેન્ચાઇઝની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવનાર સ્પિન બોલિંગ કોચ સુનીલ જોશીએ હવે ટીમ છોડવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે પંજાબ કિંગ્સની ટીમ ૧૪ વર્ષ પછી આઇપીએલ ફાઇનલમાં પહોંચી હતી. મુખ્ય કોચ રિકી પોન્ટિંગ અને તેમના કોચિંગ સ્ટાફે ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સુનીલ જાશી તે કોચિંગ સ્ટાફનો મુખ્ય ભાગ હતા. જોકે, તેમણે આગામી સીઝન પહેલા ટીમ છોડવાનો નિર્ણય લીધો છે, જે પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝ માટે મોટો ફટકો છે.
ક્રિકબઝના રિપોર્ટ મુજબ, સુનીલ જોશી બીસીસીઆઇના સેન્ટર ઓફ એક્સેલન્સમાં કામ કરી શકે છે. સુનીલ જાશીએ ૫ ઓક્ટોબરે પ્રીતિ ઝિન્ટાની ફ્રેન્ચાઇઝીને તેમના નિર્ણયની જાણ કરી હતી. જોકે, સેન્ટર ઓફ એક્સેલન્સમાં સુનીલ જોશીની ભૂમિકા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અહેવાલ બહાર પાડવામાં આવ્યો નથી. નોંધનીય છે કે સુનીલ જોશી અગાઉ આઇપીએલ ૨૦૨૦ થી ૨૦૨૨ સુધી પંજાબ ટીમના સભ્ય તરીકે સેવા આપી ચૂક્્યા છે. જ્યારે રિકી પોન્ટિંગ આઇપીએલ ૨૦૨૫ પહેલા ટીમના મુખ્ય કોચ બન્યા, ત્યારે પંજાબ ફ્રેન્ચાઇઝીએ તેમને ટીમ સાથે બીજા કાર્યકાળની ઓફર કરી.
સુનીલ જોશીએ ૧૯૯૬ થી ૨૦૦૧ દરમિયાન ભારત માટે ૧૫ ટેસ્ટ અને ૬૯ વનડે રમી હતી, જેમાં કુલ ૧૧૦ વિકેટ લીધી હતી. તેમની પાસે ૪૧ ટેસ્ટ વિકેટ અને ૬૯ વનડે વિકેટ છે. તેમણે થોડા સમય માટે ઉત્તર પ્રદેશ રાજ્ય ટીમના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી હતી. તેમણે ટીમ ઇન્ડિયાના મુખ્ય પસંદગીકાર તરીકે પણ સેવા આપી છે. ક્રિકબઝ અનુસાર, પંજાબ કિંગ્સ મેનેજમેન્ટના એક સભ્યએ તેમના નિર્ણય પર ટિપ્પણી કરતા કહ્યું, “તે એક સારા વ્યક્તિ છે અને ફ્રેન્ચાઇઝી સાથે તેમની સફર સારી રહી છે. પરંતુ અમે કોઈના કારકિર્દીમાં અવરોધ બનવા માંગતા નથી.”













































