આતંકવાદ સામે હંમેશા અવાજ ઉઠાવતા અમેરિકાએ હવે આતંકવાદીઓને પોષતા દેશ પાકિસ્તાનની પ્રશંસા કરવાનું શરૂ કર્યું છે. એક ટોચના અમેરિકી લશ્કરી અધિકારી અને યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) કમાન્ડર જનરલ માઈકલ કુરિલાએ એક વિચિત્ર દાવો કર્યો છે કે પાકિસ્તાન અમેરિકા દ્વારા પૂરી પાડવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. યુએસ જનરલે ભારત અને પાકિસ્તાન સાથેના અમેરિકાના સંબંધો વિશે પણ વાત કરી છે.
યુએસ જનરલ માઈકલ કુરિલાએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ આર્મ્ડ સર્વિસીસ કમિટી સમક્ષ ભારત અને પાકિસ્તાન વિશે અનેક નિવેદનો આપ્યા છે. યુએસ જનરલે કહ્યું છે કે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંને સાથે સંબંધો જાળવવા પડશે. તેમણે કહ્યું કે એવો કોઈ દ્વિસંગી સ્વિચ ન હોઈ શકે કે જા અમેરિકા ભારત સાથે સંબંધો ધરાવે છે, તો તે પાકિસ્તાન સાથે સંબંધો જાળવી ન શકે. માઈકલ કુરિલાએ કહ્યું કે સંબંધોની સકારાત્મકતાને સમજવા માટે, તેના ગુણદોષો જાવા પડશે.
આતંકવાદને આશ્રય આપનાર દેશ પાકિસ્તાનને આતંક સામે તેનો ભાગીદાર ગણાવ્યો છે. અમેરિકન જનરલે કહ્યું છે કે પાકિસ્તાન સાથે ભાગીદારી દ્વારા અમેરિકાએ આઇએસઆઇએસ કે (ખોરાસન) સામે કાર્યવાહી કરી છે અને તેના ડઝનબંધ સભ્યોને મારી નાખ્યા છે. અમેરિકાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ગુપ્ત માહિતી માટે અમેરિકા સાથેના જોડાણ દ્વારા પાંચ ટોચના આઇએસઆઇએસ કે કમાન્ડરોને પકડી લીધા છે. જ્યારે સત્ય એ છે કે પાકિસ્તાને હંમેશા પોતાના ફાયદા માટે આતંકવાદનો ઉપયોગ કર્યો છે.
યુએસ જનરલ કુરિલાએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનો પણ ઉલ્લેખ કર્યો છે. જનરલ કુરિલાએ કહ્યું છે કે અસીમ મુનીરે ફોન કરીને કહ્યું હતું કે તેણે આઇએસઆઇએસ કેના આતંકવાદી મોહમ્મદ શરીફુલ્લાહને પકડ્યો છે. તેને અમેરિકાને પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. ૨૬ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ કાબુલમાં એરપોર્ટ નજીક થયેલા બોમ્બ વિસ્ફોટમાં શરીફુલ્લાહની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. આ આતંકવાદી હુમલામાં અમેરિકન સેનાના ૧૩ સભ્યો અને લગભગ ૧૬૦ નાગરિકો માર્યા ગયા હતા. અમેરિકન જનરલના આ વિચિત્ર દાવાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે કે ૯/૧૧ હુમલાના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેનને આશ્રય આપનાર પાકિસ્તાન આજે આતંકવાદ સામે અમેરિકાને મદદ કરી રહ્યું છે.