૨૩ અને ૨૯ એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે. દરમિયાન, શુક્રવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા. મમતા બેનર્જીએ કહ્યું કે માલદામાં તાજેતરની ઘટના રાજ્યમાં અશાંતિ ફેલાવવાના હેતુથી એક સુનિયોજિત કાવતરું હતું. તેમણે આરોપ લગાવ્યો કે આ માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા.
હઝારીપારા મેદાનમાં યોજાયેલી જાહેર સભાને સંબોધતા મમતા બેનર્જીએ દાવો કર્યો, સીઆઇડી માલદા ઘટનાની તપાસ કરી રહી છે. લોકોને મુંબઈથી લાવવામાં આવ્યા હતા અને સમગ્ર યોજના અગાઉથી તૈયાર કરવામાં આવી હતી.” જ્યારે એનઆઇએ તેમને પકડવામાં નિષ્ફળ રહી, ત્યારે અમારી સીઆઇડીએ આરોપીઓની ધરપકડ કરી છે.
આ ઘટના ત્યારે બની જ્યારે મોટી સંખ્યામાં લોકો મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સવ રિવિઝન સામે વિરોધ કરી રહ્યા હતા. વિરોધીઓનો આરોપ છે કે આશરે ૧૨ મિલિયન મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે અથવા કાઢી નાખવાની પ્રક્રિયામાં છે.
મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે ભાજપ આ મુદ્દાનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મોટા પાયે વહીવટી બદલીઓ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે બદલી કરાયેલા ૫૦૬ અધિકારીઓમાંથી ૪૮૩ એકલા બંગાળના હતા, જેમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય સચિવ જેવા મુખ્ય હોદ્દાઓનો સમાવેશ થાય છે.
મમતા બેનર્જીએ મતદારોને, ખાસ કરીને મહિલાઓને સતર્ક રહેવાની અપીલ કરી, મતદાનના દિવસે ઝાડુ લઈને બહાર આવવા અને મતદાન કરવા વિનંતી કરી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કેન્દ્રીય દળો, ખાસ કરીને સીઆરપીએફનો ઉપયોગ ભાજપની તરફેણમાં થઈ શકે છછે.
દરમિયાન, રાજ્ય સીઆઇડીએ વકીલ અને ભૂતપૂર્વ એઆઇએમઆઇએમ ઉમેદવાર મોફકરુલ ઇસ્લામની બાગડોગરા એરપોર્ટ પરથી ધરપકડ કરી છે, જેમને આ કાવતરાના મુખ્ય આરોપી તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે. ચૂંટણી કમિશનરના નિર્દેશ અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ,એનઆઇએએ આ મામલાની પ્રાથમિક તપાસ શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટે આ ઘટનાને ન્યાયિક અધિકારીઓને ડરાવવા અને અવરોધવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો છે અને કેન્દ્રીય એજન્સીને તપાસનો આદેશ આપ્યો છે.
એનઆઇએની એક ટીમ ટૂંક સમયમાં માલદા પહોંચશે અને તપાસ શરૂ કરશે. સ્થાનિક પોલીસે અત્યાર સુધીમાં આ કેસના સંદર્ભમાં ૨૦ લોકોની ધરપકડ કરી છે, જેમાં આઇએસએફ ઉમેદવાર મૌલાના શાહજહાં અલીનો પણ સમાવેશ થાય છે.
નોંધનીય છે કે ૨૯૪ સભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે મતદાન ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ બે તબક્કામાં યોજાશે, અને મતગણતરી ૪ મેના રોજ થશે. ૨૦૨૧ની ચૂંટણીમાં, તૃણમૂલ કોંગ્રેસે ૨૧૩ બેઠકો સાથે જંગી વિજય મેળવ્યો હતો, જ્યારે ભાજપે ૭૭ બેઠકો મેળવી હતી. કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પોતાનું ખાતું પણ ખોલી શક્્યા ન હતા.