આગામી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા અત્યંત તેજ બનાવી દેવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નિરીક્ષકો દ્વારા સંભવિત ઉમેદવારોનો અભિપ્રાય લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રથમ દિવસે જ મિશ્ર પ્રતિસાદ જાવા મળ્યો હતો. અને સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ અમદાવાદમાં વ્યવસ્થા ખોરવાઈ હતી. સરસપુરમાં કેપ્રિકોન બેન્કવેટ હોલમાં દાવેદારોની ભારે ભીડ જામી હતી.
દરિયાપુર વિધાનસભા ખાતે હેઠળ આવતા વિવિધ વોર્ડ માટે શાહીબાગ સ્થિતિ રાણીસતી મંદિર ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા યોજાઈ હતી. અહીં ખાસ કરીને શાહપુર વોર્ડમાં ટિકિટ મેળવવા માટે ૭૦ થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી, જ્યારે દરિયાપુર વોર્ડમાં આ આંકડો ૧૦૦ ને પાર કરી ગયો હતો. નોંધનીય છે કે દરિયાપુર બેઠક પર છેલ્લા ૨૫ વર્ષથી ભાજપક્યારેય ચૂંટણી જીતી સકયું નથી, પરંતુ આ વખતે દાવેદારોનો રાફડો જાઈને ધારાસભ્ય કૌશિકભાઈ જૈને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે પરિવર્તન નિશ્ચિત છે.
બીજી તરફ, સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ અનેક જગ્યાએ અવ્યવસ્થાના દ્રશ્યો જાવા મળ્યા હતા. સરસપુરમાં કેપ્રિકોન બેન્કવેટ હોલ ખાતે યોજાયેલી પ્રક્રિયામાં નિરીક્ષકો પોતે નિર્ધારિત સમય કરતા અઢી કલાક મોડા પહોંચ્યા હતા. બપોરે ૧૨ કલાકે આવવાના બદલે નિરીક્ષકો છેક ૨ઃ૩૦ કલાકે પહોંચતા મોટી સંખ્યામાં આવેલા દાવેદારો અને કાર્યકરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અમરાઈવાડી બેઠક માટે પણ મોટી સંખ્યામાં કાર્યકરોએ ટિકિટ માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભાજપ આ વખતે યુવા અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપે છે કે જૂના જાગીઓ પર ભરોસો રાખે છે, તે જાવું રસપ્રદ રહેશે.










































