સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૫ની શરૂઆત એપ્રિલને બદલે ફેબ્રુઆરીથી કરવાની માંગ કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે પ્રતિવર્ષ એપ્રિલમાં શરૂ થતું આ અભિયાન મે મહિનાના મધ્ય સુધી ચાલે છે. પરંતુ ૧૫ જૂન પહેલાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવાની હોવાથી ખેડૂતોને પૂરતો સમય મળતો નથી. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે જો અભિયાનની શરૂઆત ફેબ્રુઆરીથી કરવામાં આવે તો ખેડૂતોને પૂરતો સમય મળી રહેશે. આના કારણે જળસંચય અને જળસંગ્રહની કામગીરી વધુ અસરકારક રીતે થઈ શકશે. પરિણામે, પીવાના પાણી ઉપરાંત ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવામાં અને સિંચાઈ માટેના જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો થઈ શકશે. કસવાલાએ આ અંગે મુખ્યમંત્રી અને પાણી પુરવઠામંત્રી કુવરજી બાવળીયાને સકારાત્મક નિર્ણય લેવા વિનંતી કરી છે, જેથી રાજ્યના જળસ્રોતોનું વધુ સારી રીતે સંવર્ધન થઈ શકે.