આજે દેશભરમાં કોઈપણ ખૂણે ચૂંટણીઓ યોજાય ત્યારે અમુક ચોક્કસ મુદ્દાઓ જરૂરથી ચર્ચાનું કેન્દ્ર બને છે. રાજકીય પક્ષો મત આકર્ષવા જે પ્રયત્નો કરે છે તેમાં પ્રાંત પ્રાંત પ્રમાણે અસરકર્તા અલગ અલગ મુદ્દાઓ હોય છે. કોઈ જગ્યાએ જાતિ સમીકરણો અસર કરે છે, તો કોઈ જગ્યાએ વિકાસકાર્યો અસર કરતા હોય છે. દેશની સૌથી પહેલી ચૂંટણીથી લઈને આજ દિન સુધી દર ચૂંટણીની તરેહ અલગ રહી છે, નારા અલગ રહ્યા છે, મુદ્દા અલગ રહ્યા છે. આઝાદી બાદની ભારતની પ્રારંભિક લોકશાહીની ગતિ ધીમી હતી. અંગ્રેજોએ ખોખલો કરી નાખેલ દેશને નવેસરથી ઘડવાનો હતો. જે આપો એ પ્રજા માટે નવું જ હતું. પ્રજા હજુ આઝાદીના હેંગઓવરમાં હતી. અને આઝાદીની લડતના છેલ્લા પ્રકરણને અંજામ આપનાર લડવૈયાઓ જ દેશના ભાગ્યવિધાતાઓ હતા. પ્રજાને અને નેતાઓને પણ મુદ્દાઓની જાજી પરવા નહોતી. ધીમે ધીમે નેતાગીરીના કમજોર નિર્ણયોની અસર દેખાવા લાગી. ભૂલો સપાટી પર આવવા લાગી. નવી નેતાગીરી ઉભરવા લાગી. સ્થાનિક અને રાષ્ટ્રીય મુદ્દાઓનો જન્મ ઝડપભેર થઇ ગયો. પરંતુ કોઈ દેશવ્યાપી મુદ્દો એવો નહોતો જેની અસર દેશવ્યાપી હોય. પરંતુ સદીના અંત ભાગમાં એક એવા પરિબળનો જન્મ થયો જેણે હિન્દુસ્તાનની રાજનીતિને ઝકઝોરી નાખી. દેશના સૌથી મોટા બહુમતને અછૂત ગણતા રાજનેતાઓ ઉંઘતા ઝડપાઈ ગયા. દેશના શીર્ષસ્થ નેતૃત્વને વડવાઓ પાસેથી વારસમાં મળેલી હિન્દુ દ્વેષભાવનાને એક સોમનાથથી અયોધ્યાની ધર્મયાત્રાએ સપાટી પર લાવી દીધી. માત્ર ચાર વર્ષ હિન્દુસ્તાનમાં રહેલ એક મુઘલ શાસકના નામે ઉભેલી એક ઈમારતના ધ્વંસ સાથે લાલઘુમ હિન્દુત્વ દેશભરમાં ફૂંકાઈ ગયું. સૈકાઓ બાદ દુનિયાએ હિન્દુત્વનો આક્રમક ચહેરો જોયો. એક એવી ધરી રચાઈ ગઈ જેના પર હિન્દુસ્તાનની ભાવિ રાજનીતિ ફરતી રહેવાની હતી. સરકારો બનવાની હતી અને ગબડવાની હતી.
ત્યારબાદ એવો સમય આવ્યો કે હિન્દુત્વના પરિબળ સામે સરકાર બનાવવા માટે ગઠજોડ કરવા પડ્‌યા. સામાછેડે હિન્દુત્વનું પણ ગઠજોડ થયું. એ ગઠજોડ પ્રથમ દ્રષ્ટીએ બે જૂથ હતા, પરંતુ સુક્ષ્મ વિઘટન થાય તો હિન્દુત્વ અને બિનહિન્દુત્વ જેવી બે સ્પષ્ટ વિચારધારાઓ હતી. જ્યાંથી ગઠજોડની રાજનીતિ શરુ થઇ હતી ત્યાંથી એવું લાગતું હતું કે હવે આવનારા ભવિષ્યમાં ભારતમાં કદાચ આ પ્રકારની ખીચડી સરકારો જ જોવા મળશે. થોડા સમય માટે ઉભરેલ હિન્દુત્વ આથમી ગયું છે. અસંખ્ય પ્રાદેશિક પક્ષોનું અસ્તિત્વ અને જુદા જુદા પ્રાંતોમાં એમની મજબૂત હાજરી એવું માનવાને કારણ આપતી હતી કે
કોઈ એકલા પક્ષે બહુમત મેળવવા માટે હવે કદાચ દાયકાઓ રાહ જોવી પડશે. કોઈ એક મોટા પક્ષની આગેવાની વિના માત્ર સરકાર બનાવી નાખવા ભેગી થયેલી સંખ્યા અને તેમાં જોડાયેલા બહોળા પ્રમાણના નાના-નાના પક્ષોની સંખ્યા એકબીજાના હિતો સાચવવા દેશહિતને બલિ ચઢાવી દેશે. દેશે એ કાલખંડ જોયો છે જયારે આવી સરકારમાં ભારતની લોકશાહીના ઇતિહાસના કલ્પના ન કરી શકાય એ સાઈઝના કૌભાંડો થયા હોય. પરંતુ ત્યારબાદ ફરી હિન્દુત્વ એક નવા કલેવર સાથે રાજનીતિમાં છવાઈ ગયું. અને ત્રણ ત્રણ બહુમત સરકાર બનાવી.
ભારતીય જનતા પક્ષે વાજપેયીથી લઈને નરેન્દ્ર મોદી સુધી એક હિન્દુત્વથી બીજા હિન્દુત્વ તરફ ગતિ કરી છે. થોડા જ સમયમાં દેશ દુનિયાએ એ ચહેરા જોઈ લીધા છે. બે માંથી ત્રણસો બે સુધી લોકસભા સભ્યસંખ્યા પહોચાડવા માટે વિકાસલક્ષી રાજનીતિ, દુરંદેશી આયોજન, મજબૂત વિદેશનીતિ, સ્ફોટક નેતૃત્વ જેવા અન્ય પરિબળો ભલે સામેલ હોય, પણ મુખ્ય ચાલકબળ હિન્દુત્વ જ રહ્યું છે. બેશક, બીજા મુદ્દાઓ આ ધરીની આસપાસ ફરીને મદદ કરતા રહ્યા છે. સવાલ એ છે કે શું આટલી હિન્દુત્વ
જાગૃતિ બાદ એ મુદ્દો પૂરો થઇ ગયો છે ? જવાબ સ્પષ્ટ ના છે. હિન્દુત્વ ભાવનાત્મક મુદ્દો છે. એ જ કારણ છે જે પક્ષો હિન્દુત્વની ધરીથી ખસેલા હતા કે હિન્દુ જાગરણ બાદ પણ ખસેલા જ રહ્યા અને સમર્થન નહોતા કરતા એની બૂરી વલે થઇ છે. જેઓ હિન્દુ આસ્થાને ઠોકર મારવાનો કોઈ મોકો ચુકતા નહોતા, હિન્દુને બીજા દરજ્જાના નાગરિક ગણતા હતા, દિશાશૂન્ય, પક્ષપાતી અને દિશાભ્રમ રાજનીતિના કેફમાં ઝૂમતા હતા એ પક્ષના નેતાઓ જનોઈ ધોતી પહેરીને, ત્રિપુંડ તાણીને મંદિરના આંટા મારતા થઇ ગયા. જેની નાની બાબરી ધ્વંશ અને મંદિર નિર્માણથી દુઃખી થઇ ગયા હતા એ આજે એ જ રામમંદિરમાં દર્શન અને હિન્દુ મંદિરના પૂજારીઓને વેતન આપવાની ચુનાવી જાહેરાત કરી રહ્યા છે. ચૂંટણી પુરતો પણ એમની અંદરનો સિઝનલ હિન્દુ બહાર આવી રહ્યો છે. એ ભ્રમ કે હિન્દુને ચૂંટણી વખતે બે કિલો ચોખાથી ખરીદી શકાય છે, ભાંગીને ભુક્કો થઇ ગયો છે. હિન્દુ મત સરકાર બનાવી શકે તેટલો તાકાતવર અને કિંમતી બની ગયો છે.હિન્દુ સહિષ્ણુતાને ઠોકર મારવી હવે ભૂતકાળ જેટલી આસાન નથી.
એમ મનાય છે કે કોઈપણ રાષ્ટ્રનું અસ્તિત્વ ક્યાંય જો જોવું હોય તો એ રાષ્ટ્રના લોકોમાં પ્રતિબિંબિત થાય છે. જે પ્રજાના ભૂત, ભવિષ્ય અને વર્તમાન જે પિત્રુભૂમિ અને પુણ્યભૂમિ સાથે જોડાયેલા હોય, એ પ્રજા જ એ જમીન સાથે જોડાયેલી રહે છે. આક્રમણ કરીને જીતેલા પ્રદેશમાં વસેલા આક્રમણખોરોની ભાવના એ જમીન સાથે જોડાતી નથી. એ રાષ્ટ્રના ભવિષ્યને કંડારવાનું સંપૂર્ણ કાર્ય એમના હાથે નિર્માણ થાય છે, અન્યથા નહિ.
ક્વિક નોટ – ”તીસ કરોડ કી જનસંખ્યા, હિન્દુસ્તાન કે સમાન પરાક્રમ કરને હેતુ ઉપયુક્ત વિસ્તૃત ક્ષેત્ર, પિતૃભૂમિ તથા પુણ્યભૂમિ ભી યહાં હૈ. મહાન ઈતિહાસ કા ઉત્તરાધિકાર, તથા સમાન સંસ્કૃતિ વ સમાન રક્ત કે બંધનો સે એકાત્મતા પાઈ હુઈ પ્રચંડ જનશક્તિ દ્વારા ઇસ સામગ્રી કે બલ પર વિશ્વ કો અપની બાત મનાને પર બાધ્ય કિયા જા સકતા હૈ. ભવિષ્ય મેં કિસી દિન યહ પ્રચંડ શક્તિ માનવજાતિ કો જ્ઞાત હોગી.” – વિનાયક દામોદર સાવરકર