કેન્દ્ર સરકાર ઓપરેશન સિંદૂરનો સંદેશ દુનિયા સુધી પહોંચાડવા માટે તમામ પક્ષોના સાંસદોને વિદેશ પ્રવાસ પર મોકલી રહી છે. આ મુદ્દા પર રાજકારણ પણ તેજ બન્યું છે. જ્યાં કોંગ્રેસ નેતા જયરામ રમેશે કેન્દ્ર સરકારના આ કૃત્યની ટીકા કરી છે. બુધવારે, તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઓપરેશન સિંદૂર અંગે આંતરરાષ્ટ્રીય પ્રવાસો પર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવાનું પગલું એક પીઆર સ્ટંટ છે અને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.
જયરામ રમેશે કહ્યું કે સરકારે પહેલગામ આતંકવાદી હુમલા અને ચીન-પાકિસ્તાન જેવા ગંભીર મુદ્દાઓ પર હજુ સુધી સંસદનું ખાસ સત્ર બોલાવ્યું નથી. તેમણે પૂછ્યું કે જો આપણે આતંકવાદ, પાકિસ્તાન અને ચીનના મુદ્દાઓ પ્રત્યે ગંભીર છીએ, તો પછી સંસદનું ખાસ સત્ર કેમ બોલાવવામાં આવતું નથી?
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો ૨૨ એપ્રિલથી સર્વપક્ષીય બેઠકની માંગ કરી રહ્યા છે. બે બેઠકો યોજાઈ હતી, પરંતુ પીએમ તેમાં હાજરી આપી ન હતી. આ પછી રાહુલ ગાંધી અને મલ્લીકાર્જુન ખડગેએ પીએમને પત્ર લખીને સંસદ સત્ર બોલાવવાની માંગ કરી હતી. જયરામ રમેશે કહ્યું કે પાકિસ્તાન દ્વારા આતંકવાદને સમર્થન અને ચીન સાથેના તેના વ્યૂહાત્મક સંબંધોને સંસદમાં ચર્ચાનો વિષય બનાવવો જોઈતો હતો, પરંતુ સરકારે જાતિગત વસ્તી ગણતરી શરૂ કરી છે અને હવે ધ્યાન ભટકાવવા માટે આ વિદેશ પ્રવાસો શરૂ કર્યા છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભાજપના સાંસદ સંબિત પાત્રાના તે નિવેદન પર વધુ પ્રહાર કર્યા જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી પાકિસ્તાનને ઓક્સિજન આપી રહ્યા છે. રમેશે કહ્યું કે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા જોઈએ. તેમણે કહ્યું કે ખરો પ્રશ્ન એ છે કે પાકિસ્તાનને ઓક્સિજન કોણે આપ્યો? ચીને આપ્યું છે. ચીનની મદદ વગર પાકિસ્તાન આ બધું કરી શક્યું ન હોત.
ભાજપ પર પ્રહાર કરતા જયરામ રમેશે કહ્યું કે અમે ચીન અને પાકિસ્તાન વચ્ચેના જોડાણ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. જસવંત સિંહે ઝીણાની પ્રશંસા કરી હતી. અટલ બિહારી વાજપેયી લાહોર બસ યાત્રા પર ગયા હતા. નરેન્દ્ર મોદી પોતે નવાઝ શરીફના ઘરે નાસ્તો કરવા ગયા હતા. તેમણે કહ્યું કે સરકાર સાંસદોને વિદેશ મોકલીને ફક્ત ‘ઓપરેશન સિંદૂર’ને પ્રોત્સાહન આપી રહી છે પરંતુ આતંકવાદીઓને પકડવાના વાસ્તવિક કાર્ય પર ધ્યાન આપી રહી નથી.
દરમિયાન, બુધવારે, જદયુ સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય સાંસદ પ્રતિનિધિમંડળ જાપાન, દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાત માટે દિલ્હી એરપોર્ટથી રવાના થયું. આ મુલાકાત અંગે સંજય ઝાએ કહ્યું કે અમારું પ્રતિનિધિમંડળ આ દેશોમાં જઈને દુનિયાને કહેવા માંગે છે કે પાકિસ્તાન આતંકવાદના સહારે જીવિત છે અને ભારત તેની સામે મજબૂતીથી લડી રહ્યું છે. તેમણે કહ્યું કે આ મુલાકાત ભારતની વિદેશ નીતિ અને વૈશ્વીક રાજદ્વારીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.