સાવરકુંડલા-લીલીયા પંથકમાં ખેડૂતો માટે બારે માસ ખેતી કરવાના સ્વપ્નને સાકાર થઇ શકે તે માટે લીલીયાના સલડી ગામે ૯૦૦ વિઘાના તળાવના નવીનીકરણ માટે સરકારની રૂ. ૨.૪૨ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ચૂંટણી સમયે આપેલા વચનોને પાળી બતાવવા માટે સતત ગાંધીનગર મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને સચિવાલયમાંથી આ મંજૂરી મેળવી હતી. સલડી આસપાસના ૧૮ ગામડાઓનાં પાણીના તળ ઉંચા આવે અને ખેડૂતોના બારેમાસ ખેતી કરવાના સ્વપ્નો સાકાર થાય તેવા પ્રયત્નો સફળ થયા છે. ૨.૪૨ કરોડ જેવી માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી મળતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે ખેડૂતોના હિત અને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર દ્વારા તળાવ સાથે આસપાસના ગામડાઓની ખેતી સધ્ધર થાય તેવા અભિગમને પણ વધાવવામાં આવ્યો હતો. લીલીયા પંથકના ખેડૂતોએ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની કાર્યદક્ષતાને બિરદાવી હતી.