ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસ પર છે, જ્યાં તે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ વનડે ત્રિકોણીય શ્રેણી રમવા પહોંચી છે. ટીમ ઈન્ડીયાએ આ શ્રેણીમાં અત્યાર સુધીમાં ૨ મેચ રમી છે અને બંનેમાં જીત મેળવવામાં સફળ રહી છે. ભારતીય ટીમે પહેલી મેચમાં શ્રીલંકાને ૯ વિકેટથી હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં તેણે દક્ષિણ આફ્રિકાને ૧૫ રનથી હરાવ્યું હતું. આફ્રિકા સામેની મેચ બાદ ટીમ ઈન્ડીયાને મોટો ઝટકો લાગ્યો જ્યારે આઇસીસી દ્વારા તેમને દંડ ફટકારવામાં આવ્યો.
ત્રિકોણીય વનડે શ્રેણીની પહેલી મેચ ૨૭ એપ્રિલે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યજમાન શ્રીલંકા અને ભારત વચ્ચે રમાઈ હતી. વરસાદને કારણે મેચ ૩૯-૩૯ ઓવરની હતી, જે ટીમ ઈન્ડીયાએ એકતરફી ૯ વિકેટથી જીતી લીધી હતી. આ મેચમાં, ભારતીય મહિલા ટીમને ૨૯ એપ્રિલે ધીમા ઓવર રેટને કારણે આઇસીસી તરફથી દંડનો સામનો કરવો પડ્યો હતો.આઇસીસી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, તેમણે જણાવ્યું હતું કે ખેલાડીઓ અને ટીમ સપોર્ટ સ્ટાફ માટે આઇસીસી આચારસંહિતાની કલમ ૨.૨૨ હેઠળ, ખેલાડીઓને નિર્ધારિત સમયમાં દરેક ઓવર ન ફેંકવા બદલ તેમની મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવે છે.
ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને સ્લો ઓવર રેટ માટે આઇસીસી દ્વારા લાદવામાં આવેલા દંડનો સ્વીકાર કરી લીધો છે, ત્યારબાદ આ મામલે વધુ કોઈ ઔપચારિક સુનાવણી થશે નહીં. તમને જણાવી દઈએ કે મહિલા વનડે વર્લ્ડ કપ ૨૦૨૫ ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડીયા માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં તેની આગામી મેચ ૪ મેના રોજ યજમાન શ્રીલંકાની મહિલા ટીમ સામે રમવાની છે.