વડોદરા કોર્ટના હુકમના આધારે અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક પિતાએ તેની પત્ની અને પ્રખ્યાત વિબગ્યોર સ્કૂલના માલિક સામે ગંભીર ફરિયાદ નોંધાવી છે.આરોપ છે કે માતાએ કોર્ટના આદેશ વગર અને કોઈ કાનૂની પ્રક્રિયા અનુસર્યા વગર બંને દીકરીઓની સરનેમ ‘મિશ્રા’માંથી ‘ચૌહાણ’માં બદલી નાખી છે.આ કેસમાં માતા અંકિતા ચૌહાણ તેમજ વિબગ્યોર સ્કૂલના માલિક રુસ્તમ કેરાવાલા સામે છેતરપિંડી, દસ્તાવેજાની જાળસાજી અને ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે.
મૂળ દિલ્હીના અને વર્તમાનમાં વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા અભિષેક અશોકકુમાર મિશ્રાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના લગ્ન વર્ષ ૨૦૧૧માં વડોદરાની અંકિતા ચૌહાણ સાથે થયા હતા. આ લગ્નમાંથી તેમને બે દીકરીઓ છે. બંને દીકરીઓના જન્મ પ્રમાણપત્ર અને પાસપોર્ટમાં સરનેમ ‘મિશ્રા’ જ નોંધાયેલી છે.અભિષેક મિશ્રાએ આગળ જણાવ્યું કે તેમની પત્ની અંકિતા સ્વછંદી જીવનશૈલી અપનાવવા માગતી હતી અને તેમની મરજી વિરુદ્ધ બંને દીકરીઓને મહેસાણા લઈ ગઈ હતી. ત્યાં તેમણે દીકરીઓને સ્કૂલમાં એડમિશન આપ્યું હતું. ત્યારબાદ ૨૦૧૯માં અંકિતા ગુડગાવની દૂધસાગર ડેરીમાં નોકરી કરતી હતી ત્યારે તે વિપુલ ચૌધરી સાથે અનૈતિક સંબંધમાં આવી અને મહેસાણા આવી ગઈ હતી.
ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે અંકિતા દૂધસાગર ડેરીના ૐઇ વિભાગમાં હતી અને વિપુલ ચૌધરી માટે યુવાન છોકરીઓની ભરતી કરતી હતી. આ દરમિયાન બંનેએ મોટા કૌભાંડમાં સામેલ થઈને ગરીબોના પૈસા ખોટા રીતે વાપર્યા હતા. અભિષેકે આ કૌભાંડની જાણ ૨૦૧૯માં ગુજરાત સરકારને કરી હતી, જેની તપાસ હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસમાં વિપુલ ચૌધરીને જેલ પણ થઈ હતી. ત્યારબાદ અંકિતાને ડેરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
અંકિતાએ દીકરીઓને મહેસાણાની ડીવાઇન ચાઈલ્ડ સ્કૂલમાંથી એલસી કઢાવીને વડોદરાની વિબગ્યોર સ્કૂલમાં એડમિશન આપ્યું. આ સમયે કોર્ટના કોઈ આદેશ વગર અને ગુજરાત ગેઝેટમાં જાહેરાત વગર દીકરીઓની સરનેમ ‘મિશ્રા’ના બદલે ‘ચૌહાણ’ લખાવી દેવામાં આવી હતી. અભિષેકે વિબગ્યોર સ્કૂલના માલિક રુસ્તમ કેરાવાલા તેમજ પ્રિન્સિપાલ મયુરભાઈ અને અન્ય અધિકારીઓને વારંવાર સંપર્ક કર્યો હતો. તેમણે મે-૨૦૨૫માં ફોન પર વચન આપ્યું હતું કે રેકોર્ડ સુધારીને કોપી આપવામાં આવશે અને જ્ઞાતિ પણ ‘બ્રાહ્મણ’ તરીકે સુધારવામાં આવશે. પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં.
અભિષેકે ગુજરાત શિક્ષણ વિભાગને પણ જાણ કરી હતી. વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે સ્કૂલ કોઈપણ બાળકનું નામ કે સરનેમ બદલી શકે નહીં. વિબગ્યોર સ્કૂલે બાદમાં દાવો કર્યો હતો કે કસ્ટડી ઓર્ડરને કારણે નામ બદલ્યું હતું, પરંતુ ગુજરાત હાઈકોર્ટે તે કસ્ટડી ઓર્ડર રદ કરી દીધો હતો.ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે અંકિતા અને તેની મોટી બહેને અંદાજે ૨૦થી ૨૫ પરિવારોને વૈવાહિક વિવાદમાં ફસાવીને પૈસા પડાવ્યા છે. અંકિતા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જુદા-જુદા નામે અને આકર્ષક ફોટા વડે લોકોને ભોળવે છે. વિપુલ ચૌધરી પણ અગાઉ પૈસાદાર વ્યક્તિઓને ફસાવવાના કેસમાં સામેલ રહ્યા છે.
અભિષેકે વધુમાં જણાવ્યું છે કે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના કેટલાક અજાણ્યા કર્મચારીઓએ પણ દીકરીઓની ઓળખ અને નામ બદલ્યા છે. અંકિતા હાલ સુરતના મગદલ્લા વિસ્તારમાં લાર્સન એન્ડ ટુબ્રોની રહેણાંક વસાહતમાં રહે છે અને હજીરા ખાતે કંપનીના એચઆર વિભાગમાં કામ કરે છે. તે નીચલી અદાલતથી સુપ્રીમ કોર્ટ સુધીના કેસમાં ક્્યારેક ‘મિશ્રા’ તો ક્યારેક ‘ચૌહાણ’ તરીકે પોતાનું નામ વાપરે છે.