સંસ્કારી નગરી વડોદરામાં પ્રેમસંબંધમાં હત્યાની એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરની રેલવે કોલોનીમાં રહેતી અને રેલવેમાં નોકરી કરતી એક યુવતીએ જ પોતાના મંગેતરની દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો છે. શરૂઆતમાં અકસ્માત કે આત્મહત્યા લાગતી આ ઘટનામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટે સત્ય બહાર લાવ્યું છે.

મળતી માહિતી મુજબ, વડોદરાની રેલવે કોલોનીમાં રહેતી અને રેલવેમાં જ ફરજ બજાવતી રેખા નામની યુવતી અને ૨૩ વર્ષીય સચિન રાઠવા વચ્ચે પ્રેમસંબંધ હતો. બંનેની સગાઈ થઈ ગઈ હતી અને તેઓ સાથે જ રહેતા હતા. જોકે, ગત ૨૯ ડિસેમ્બરના રોજ સચિન રાઠવાનું શંકાસ્પદ સંજાગોમાં મોત નીપજ્યું હતું. ઘટના સમયે રેખાએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એવી રજૂઆત કરી હતી કે સચિનનું મોત કુદરતી કે અકસ્માતે થયું છે. પરંતુ, સચિનના પિતાને પુત્રના મોત અંગે શંકા જતાં તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલતા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટ મુજબ, સચિનનું મોત કોઈ બીમારીથી નહીં પરંતુ ગળાફાંસો આપવાને કારણે ગૂંગળામણથી થયું હતું. આ રિપોર્ટ આવતા જ પોલીસની શંકા રેખા પર દ્રઢ બની હતી.

મકરપુરા પોલીસે જ્યારે રેખાની કડક પૂછપરછ હાથ ધરી, ત્યારે તે સતત ત્રણ દિવસ સુધી પોલીસને ગોળ-ગોળ ફેરવતી રહી હતી. જોકે, પોલીસની તાર્કિક પૂછપરછ સામે તે વધુ સમય ટકી શકી નહીં અને અંતે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. રેખાએ સ્વીકાર્યું હતું કે, જ્યારે સચિન ગાઢ નિદ્રામાં સૂતો હતો, ત્યારે તેણે દુપટ્ટા વડે તેનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ મામલે સચિનના પિતા ગણપતભાઈ રાઠવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં પ્રેમિકા દ્વારા માનસિક ત્રાસ અને અન્ય યુવક સાથેના સંબંધોની શંકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સચિન અને રેખા (નામ બદલેલ છે) વર્ષ ૨૦૨૩થી એકબીજાના પ્રેમમાં હતા. મે ૨૦૨૫માં બંનેની સગાઈ પણ ધામધૂમથી કરવામાં આવી હતી અને આગામી માર્ચ મહિનામાં તેમના લગ્ન નિર્ધારિત હતા. રેખા રેલવેમાં નોકરી કરતી હોવાથી બંને વડોદરા સ્થીત રેલવે ક્વાર્ટર્સમાં સાથે રહેતા હતા. સચિનના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સચિનને શંકા હતી કે રેખાના અન્ય કોઈ યુવક સાથે પણ સંબંધો છે. આ બાબતે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા.

ગત ૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બપોરે સચિને તેના પિતાને ફોન કરીને રડતા રડતા જણાવ્યું હતું કે, “રેખા હવે લગ્ન કરવાની ના પાડે છે અને મને ખૂબ હેરાન કરી રહી છે.” આ ફોન કોલના થોડા સમય બાદ રેખાએ સચિનના પરિવારને ફોન કરીને જણાવ્યું કે સચિન સૂતો છે અને જાગતો નથી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આખરે આ મામલે યુવતીએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં તેની સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ યુવતીએ હત્યા શા માટે કરી એ દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ મકરપુરા પોલીસે રેખા સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રેમસંબંધમાં એવી તે કઈ ખટરાગ ઊભી થઈ કે વાત હત્યા સુધી પહોંચી, તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.