રાજ્યના ખૂણે- ખૂણે શુદ્ધ પાણી પહોચાડવું એ ગુજરાત સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે. જેના પરિણામે આજે નવી દિલ્હી ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર- એવાર્ડ’ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત અને પુડ્ડુચેરીને ઉત્તમ રાજ્ય કેટેગરીમાં દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરવા બદલ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે સમગ્ર રાજ્ય માટે ગૌરવ સમાન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ‘જળ હી જીવન હૈ’ના મંત્રને સાચા અર્થમાં સાકાર કર્યો છે.
આ એવાર્ડ માટે કેન્દ્રીય જળ આયોગ અને ભૂજળ બોર્ડ દ્વારા સૂચિત મૂલ્યાંકન અને ધરાતલીય ચકાસણી બાદ ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ઓડિશા પ્રથમ, ઉત્તરપ્રદેશ બીજું તેમજ ગુજરાત અને પુડ્ડુચેરીને ત્રીજું સ્થાન મેળવ્યું છે.આજે નવી દિલ્હી ખાતે યોજાયેલા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર- એવાર્ડ’ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમજ કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગના સચિવ શ્રી પી. સી. વ્યાસ એ આ એવાર્ડ સ્વીકાર્યો હતો.
તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિશાદર્શનમાં ગુજરાતે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અનેકવિધ નવીન સફળ પ્રકલ્પો હાથ ધર્યા છે. જેમાં સુજલામ- સુફલામ જળ અભિયાન હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ૫,૦૦૦થી વધુ જળ સંરક્ષણ અને રેન વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રક્ચર્સ લાગુ કરવામાં આવ્યાં છે. સાથોસાથ જળ સંરક્ષણના વિવિધ કાર્યક્રમો માટે અંદાજે રૂ. ૮૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
જળ ક્ષમતા ટેક્નોલોજી અને ખેડૂત તાલીમ કાર્યક્રમ માટે રૂ. ૦૧ હજાર કરોડનું રોકાણ પણ કરવામાં આવ્યું છે. સ્ટેટ-લેડ પ્રોગ્રામ હેઠળ રૂ. ૨૦૦ કરોડના ખર્ચે ૧,૨૦૦ જેટલા ગામોમાં પાણી વપરાશ સંગઠનો એટલે કે વોટર યૂઝર્સ એસોસિએશનની રચના પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થાપન માટે ‘જળ જીવન મિશન’ અંતર્ગત રાજ્યના ૯૦ ટકા ગ્રામીણ ઘરોમાં રૂ. ૩,૫૦૦ કરોડના ખર્ચે નળ જાડાણ આપવામાં આવ્યા છે. જ્યારે, વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૦૦ ટકા ઘરોમાં નળ જાડાણ આપવાનું લક્ષ્યાંક છે. અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) જેવી યોજનાઓ અંતર્ગત રૂ. ૨,૦૦૦ કરોડના ખર્ચે ૧૦૦ ટકા શહેરી વિસ્તારોમાં પાણી ઉપલબ્ધ કરાવાનો લક્ષ્યાંક છે. સાથોસાથ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ અંદાજે રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ઓવર-એક્સ્પોઇટેડ ઝોનમાં ૨૦૦ ભૂગર્ભ જળ રિચાર્જ કૂવાઓનો વિકાસ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ જળ શુદ્ધિકરણ પ્રોજેક્ટ્‌સ માટે રૂ. ૫૦ કરોડ ખર્ચે અંદાજે ૫૦૦થી વધુ ગામોમાં જળ ગુણવત્તામાં સુધારો થશે.
આમ, ગુજરાત સમગ્ર દેશમાં જળ સંપત્તિ ક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં અગ્રેસર છે. આ પ્રયાસોએ જળ સંરક્ષણ, પુરવઠા વ્યવસ્થાપન અને કૃષિ ઉત્પાદકતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે, તેના પરિણામે ગુજરાત રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં મોખરાનું પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું છે