દેશની સ્વતંત્રતા ચળવળમાં પ્રાણ ફૂંકનારા બંકિમચંદ્ર ચટોપાધ્યાય રચિત રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્‌’ની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગરિમામય અવસરે સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આયોજિત જિલ્લા કક્ષાના સમારોહમાં કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રગીતનું સમૂહ પઠન અને “સ્વદેશી અભિયાન” અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ અને કર્મયોગીઓને સંબોધન કરતા રાજ્યમંત્રી વેકરીયાએ જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્‌વાનના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં આજે ‘વંદે માતરમ્‌’-૧૫૦ની દિવ્ય-ભવ્ય ઉજવણી થઈ રહી છે. ‘વંદે માતરમ્‌’ એ સામાન્ય નારો નથી પરંતુ ક્રાંતિ મંત્ર છે, જેને બોલતાની સાથે દેશના ૧૪૦ કરોડ નાગરિકોના હૃદયમાં દેશપ્રેમની ભાવના જાગી ઉઠે છે. ‘વંદે માતરમ્‌’ એટલે ભારત માતાને, આ દેશની માટીને નમન કરવાનો ભાવ. ‘વંદે માતરમ્‌’એ માત્ર ગીત નથી પરંતુ ભારતની આત્માનો નાદ છે, અનંત ઉર્જાનો સંકલ્પ છે અને પવિત્ર ધ્વનિ છે.’ આ પ્રંસગે મંત્રીએ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિતિ અધિકારીઓ અને કર્મયોગીઓએ રાષ્ટ્રગીતનું સમૂહ પઠન કર્યું હતું અને સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, વિવિધ સમિતિના અધ્યક્ષ, જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્‌યા, નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.જે. જાડેજા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.