રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને સૌને ચોંકાવી દીધા હતા, ત્યારે ફરી એકવાર તેમની ખબરથી હલચલ મચી છે. રાજુ કરપડાએ ગત મોડી રાતે અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારે હવે સવાલ પેદા થયો છે કે, શું રાજુ કરપડા કોંગ્રેસમાં જશે? શું રાજુ કરપડા કોંગ્રેસમાં ઘરવાપસી કરશે?
રાજુ કરપડાની અમદાવાદમાં કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક ગત મોડી રાતે બેઠક કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, લાલજી દેસાઈ અને પાલ આંબલીયા સાથે રાજુ કરપડાએ બેઠક કરી હતી. કોંગ્રેસ નેતાઓનો રાજુ કરપડાને પક્ષમાં જાડવા મથામણ ચાલી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પાલ આંબલિયા સહિતના નેતાઓ કરપડાને મળી ચૂક્્યા છે.
આમ આદમી પાર્ટીમાંથી ખેડૂત આગેવાન રાજુ કરપડાએ રાજીનામું આપતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તો બીજી તરફ રાજુ કરપડાને પોતાની પાર્ટીમાં ખેંચવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા સામેથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના રાજીનામાની રાજકીય હલચલ વચ્ચે કોંગ્રેસના જાણીતા ખેડૂત આગેવાન પાલ આંબલીયા અચાનક રાજુ કરપડાની ઓફિસે મુલાકાતે પહોંચ્યા હતા. પાલ આંબલીયાએ આ મુલાકાતને રાજકીય નહીં પરંતુ પારિવારિક સંબંધોના ભાગરૂપે હોવાનું જણાવી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકવા પ્રયાસ કર્યો હતો.
રાજુ કરપડા અગાઉ લાંબો સમય કોંગ્રેસમાં ખેડૂત આગેવાન તરીકે સક્રિય રહી ચુક્યા હોવાથી કોંગ્રેસમાં પરત ફરે તેવી પ્રબળ શક્યતા છે. કોંગ્રેસ છોડ્યા બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જાડાયા હતા, પરંતુ હવે રાજીનામું આપતા તેમની આગામી વ્યૂહરચના પર સૌની નજર છે. પાલ આંબલિયાની મુલાકાત બાદ રાજુ કરપડા કયા પક્ષનો ખેસ ધારણ કરશે તે અંગે સુરેન્દ્રનગરમાં તર્ક-વિતર્ક તેજ બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજુ કરપડાના આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા બાદ મુળી તાલુકામાં વધુ કાર્યકરોએ સામુહિક રાજીનામા આપ્યા હતા. મુળી પાસે આવેલ એક ફાર્મ હાઉસમાં બેઠક યોજયા બાદ અંદાજે ૫૦ થી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સામુહિક રાજીનામા આપ્યા હતા. રાજુભાઈ કરપડાના રાજીનામા બાદ તાલુકા કક્ષાએ સક્રિય કાર્યકરોએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.









































