રાજુલા ખાતે સૌરભ સાહિત્ય સંસ્થાન દ્વારા તારીખ ૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ‘કાગ સ્મૃતિ’ શીર્ષક હેઠળ લોકસાહિત્ય અને સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જાણીતા કવિ શશિભાઈ રાજ્યગુરુ ‘હેમાળી’ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કાગ બાપુ પરિવારના બાબુભાઈ કાગ અને જયદેવભાઈ કાગની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અમરેલીના જિલ્લા પ્રમુખ ઈતેષભાઈ મહેતા અને લોકસાહિત્ય સેતુ અમરેલીના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીની નિશ્રામાં યોજાયેલા કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસાના પાઠથી થઈ હતી. કાર્યક્રમમાં સુરેશભાઈ વરૂ, શૈલેષભાઈ વાઘેલા, જોરુભાઈ ગોવાળીયા અને જોરુભાઈ ધાખડાએ કવિ કાગના જીવન અને રચનાઓની રજૂઆત કરી હતી. ભજન અને સંતવાણીની પ્રસ્તુતિમાં ભાવદાસ ગોંડલીયા, કિરીટગીરી ગૌસ્વામી, સંજયભાઈ પંડ્‌યા અને મુકેશભાઈ ત્રિવેદીએ શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા. જાગૃતિબેન રાજ્યગુરુના માર્ગદર્શન હેઠળ બાળ કલાકારોએ લગ્નગીત અને ભજનોની સુંદર પ્રસ્તુતિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન GTPL ‘દેવવાણી’ કાર્યક્રમના કલાકાર ધમભા બારોટે કર્યું હતું. કાર્યક્રમમાં નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા સહિત અનેક આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને કલાકારોએ હાજરી આપી હતી. અમદાવાદ, સુરત અને મુંબઈથી પણ અનેક મહાનુભાવોએ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી. લુહાર-સુથાર વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા સંદીપભાઈ જોષી અને હરેશભાઈ તેરૈયાએ જહેમત ઉઠાવી હતી.