ગુજરાતમાં વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ‘બર્ડ ડાયવર્સિટી રિપોર્ટઃ ૨૦૨૩-૨૪’ને જાહેર કરતાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ટેકનોલોજી, રોજગારી, રોકાણ, પ્રવાસન, પર્યાવરણ, વન્ય જીવ સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે ત્યારે અંદાજિત ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત સાચા અર્થમાં ‘પક્ષી જીવન’ માટે પણ સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે. મંત્રી મુળુભાઈએ રિપોર્ટ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સહિત ભારતભરમાં આગામી તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્ય જીવ સંરક્ષણ’ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યમાં સાચા અર્થમાં વન્ય જીવોનું સંરક્ષણ અને સંવર્ધન થઈ રહ્યું છે. પશુ-પક્ષીઓની વિશેષ સાર સંભાળ- કાળજી માટે રાજય સરકાર દ્વારા ‘કરુણા અભિયાન’, પશુ હેલ્પલાઇન- ટોલ ફ્રી નંબર અને પશુઓનું ફરતું દવાખાનું સહિત અનેકવિધ નવીન સેવા પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે. ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે જયારે સરહદી કચ્છ જિલ્લામાં ૧૬૧ પ્રજાતિઓના ૪.૫૬ લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. આ સાથે જામનગર, મહેસાણા, બનાસકાંઠા તેમજ અમદાવાદ એ પક્ષી જગતમાં નોંધપાત્ર ફાળો આપે છે જે ગુજરાત માટે પક્ષી જીવનનો અતુલ્ય વારસો દર્શાવે છે.