શહેરના વાવડી રોડ પર મોગલ હોટલ સામે ભગીરથ સિંહ વાઘેલા તેમજ તેની સાથે આવેલા અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ૪૦ વર્ષીય વિપુલ મકવાણા નામના વ્યક્તિને લોખંડના પાઇપ તેમજ લાકડાના ધોકા સહિતના હથિયારો વડે માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકવામાં આવ્યા હતા. જેના કારણે સારવાર અર્થે વિપુલ મકવાણા તેમજ તેના ૩૩ વર્ષીય મિત્ર શકીલ શાહમદારને પણ ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વિપુલનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આમ સમગ્ર બનાવ હત્યાના પ્રયાસમાંથી હત્યામાં પલટાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે તાલુકા પોલીસ દ્વારા હાલ ભગીરથસિંહ વાઘેલા તેમજ તેની સાથે રહેલા અજાણ્યા ચાર વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. શકીલ શાહમદારના પિતરાઈ ભાઈ અવેશ પાસેથી ભાડાના પૈસા બાબતે આરોપીઓ દ્વારા માથાકૂટ કરવામાં આવી રહી હતી. જે સંદર્ભે શકીલ તેમજ તેનો મિત્ર વિપુલ ત્યાં પહોંચતા બંને ઉપર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ૩૩ વર્ષીય શકીલ શાહમદાર દ્વારા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, પાંચ જુન ૨૦૨૫ ના રોજ મારા કાકાના દીકરા અવેશનો મને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તું ઘરે આવ મારે ભગવતીપરામાં મારા પપ્પાના ઘરે જવું છે. જેથી શકીલ તેમજ તેનો મિત્ર વિપુલ બંને અવેશના વાવડી રોડ પર આવેલા ખોડલ પેલેસ ખાતે મકાનને ગયા હતા. જ્યાં પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા. અવેશ દ્વારા ચાર વર્ષ પૂર્વે લવ મેરેજ કર્યા હતા. ત્યારથી તેના પરિવારજનો તેની સાથે વ્યવહાર રાખતા ન હતા. જેથી સમાધાન બાબતે વાતચીત ચાલતી હતી.
આ દરમિયાન ખોડલ પેલેસમાં બીજા માળે રહેતા ભગી વાઘેલાની પત્ની અવેશના ઘરે આવી હતી તેમજ ભાડું માંગ્યું હતું. જે બાબતે બંને વચ્ચે માથાકૂટ થતાં ભગી વાઘેલાની પત્ની જતી રહી હતી. દરમિયાન શકિલ તેમજ તેનો મિત્ર વિપુલ બંને પા‹કગમાં પગથીયા પાસે ઉભા હતા. ત્યારે ભગી તેમજ અજાણ્યા વ્યક્તિઓ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ ત્યારબાદ પાંચેય વ્યક્તિઓ અવેશના ઘરે ગયા હતા. જેથી અવેશ દ્વારા ઘરનો દરવાજા બંધ કરી દેતા પાંચ વ્યક્તિઓ અમારી પાસે આવ્યા હતા.
તેમજ પગી વાઘેલા કહેવા લાગ્યો હતો કે, તારો શું છે તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. જેથી શકીલ દ્વારા ભગીને સમજાવવામાં આવ્યો હતો કે, જે હોય તે બતાવો ખાલી ભાડાની મેટર છે. ભાડું તમને આપી દેશું તેમ કહેતા ભગી વાઘેલાએ આજે તો તમને બંનેને પતાવી જ દેવા છે. તેમ કહી ભગી તેમજ તેની સાથે આવેલા માણસો દ્વારા લોખંડના પાઇપ તેમજ લાકડાના ધોકા દ્વારા શકીલ તેમજ વિપુલને માર મારવામાં આવ્યો હતો. શકીલને માથાના ભાગે આગળની બાજુ સાત જેટલા ટાંકા આવ્યા હતા. તેમજ વિપુલને માથાના ભાગે ૧૧ જેટલા ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ બેભાન હાલતમાં તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વિપુલ મકવાણા શકીલ સાથે જ ક્લીનર તરીકે કામકાજ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે.