થોડા સમય પૂર્વે રાજકોટની જિલ્લા બેન્ક ખાતે બેંક લોકર સંભાળનાર કર્મચારી જ કળા કરી ગયો હોવાની ઘટના સામે આવી હતી. બેંક લોકર ધારક દ્વારા લોકરમાં રાખવામાં આવેલા ૧૨૦૦ ગ્રામથી પણ વધુના દાગીનાઓ કર્મચારી ઓળવી ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ જ પ્રકારની સામ્યતા ધરાવતી વધુ એક ઘટના સામે આવી છે રાજકોટ શહેરમાં. જવેલર્સના શોરૂમમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવનારા નૈમિષ જાની દ્વારા જ શોરૂમમાંથી સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટ શહેરમાં વધુ એક જગ્યાએ ચોકીદાર જ ચોર નીકળ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ અર્જુન જ્વેલર્સ નામના શો રૂમમાં એક નહીં બે નહીં પરંતુ ૨૫ લાખથી પણ વધુના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. ગત ૨૨ મે ૨૦૨૫ ના રોજ અર્જુન જ્વેલર્સનો સ્ટોકનું કામકાજ સંભાળનાર યશ ઠુંમર દ્વારા સ્ટોક ચેક કરતા શોરૂમની તિજારીમાં તપાસ કરતા કેટલાક સોનાના દાગીના મિસ પ્લેસ થયા હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારબાદ શો રૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા ૧૫ માર્ચ ૨૦૨૫ ના રોજ લોકરની બાજુમાં મુકેલા પ્લાસ્ટિકના ડબા પૈકી પાઉચમાં રહેલા દાગીના શોરૂમમાં કામકાજ કરનારા નૈમિષ જાની લઈ જતા જાવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, મારે દેવું વધી ગયું હોવાથી મેં સોનાના દાગીનાની ચોરી કરેલી છે.
સમગ્ર મામલે અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવનારા ૪૧ વર્ષીય હિતેશ વસોયા નામના વ્યક્તિ દ્વારા અર્જુન જ્વેલર્સ ખાતે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવનારા નૈમિશ જાની નામના વ્યક્તિ વિરુદ્ધ ૨૫,૬૨,૦૦૦ ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૩૦૬ મુજબ નોંધાવવામાં આવી હતી. તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધાતા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત નૈમિષ જાની ઝડપાઈ જતા પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારે પોલીસની પૂછપરછમાં પોતાની ઉપર દેણું થઈ જતા આ પ્રકારની ચોરી કરી હોવાની કબુલાત આપી છે. પોલીસ દ્વારા હાલ આરોપી પાસેથી ચોરીમાં ગયેલા ૨૫.૬૦ લાખના સોનાના દાગીનાની સામે ૪.૫૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે કે ચોરી કરેલ ૨૦.૪૩ લાખ રૂપિયાની કિંમતના દાગીના સોની બજારમાં વેપારીને વેચી નાખ્યા હોવાની કબુલાત આપી છે.
ત્યારે તો હાલ પોલીસ દ્વારા આરોપી પાસેથી કયા કયા સોની વેપારી દ્વારા ચોરી કરેલા દાગીનાઓ ખરીદ કરવામાં આવ્યા છે તેનું લીસ્ટ બનાવવામાં આવ્યું છે. તેમજ તાલુકા પોલીસ દ્વારા સોની બજારમાં ચોરી કરેલા દાગીના ખરીદનારા વેપારીઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસની પ્રાથમિક તપાસમાં નૈમિષ જાની છેલ્લા બે વર્ષથી અર્જુન જ્વેલર્સમાં કામકાજ કરતો હોવાની કબુલાત આપી છે.