ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ શંકાસ્પદ સંજાગોમાં ફાંસી પર લટકતા બે પરિણીત મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે રવિવારે આ માહિતી આપી. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે આ મહિલાઓની દહેજ માટે હત્યા કરવામાં આવી હતી અને બાદમાં લાશ ફાંસી પર લટકાવવામાં આવી હતી.
પુરકાજી પોલીસ સ્ટેશન વિસ્તારના અબ્દુલપુર ગામમાં ૨૭ વર્ષીય પરિણીત મહિલા ગુડિયાનો મૃતદેહ તેના રૂમમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ગુડિયાના લગ્ન ચાર વર્ષ પહેલા સોહનવીર સાથે થયા હતા અને તેમને બે બાળકો પણ છે. ગુડિયાના ભાઈ જીતેન્દ્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સાસરિયાઓએ દહેજની માંગણી માટે તેની બહેનની હત્યા કરી હતી અને બાદમાં લાશને ફાંસીથી લટકાવી દીધી હતી. મહિલાના પતિ સોહનવીર, સસરા બલરામ, સાસુ માયા સહિત કુલ પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જાકે, બધા આરોપીઓ ફરાર છે.
બીજી ઘટના જનસથ પોલીસ સ્ટેશન વિસ્તારના તાલદા ગામની છે, જ્યાં શનિવારે ૩૬ વર્ષીય ઉર્ષીનો મૃતદેહ તેના ઘરમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. ઉર્ષીના લગ્ન છ વર્ષ પહેલા સુધીર સાથે થયા હતા. ઉર્ષીના પરિવારની ફરિયાદ પર પોલીસે સુધીર અને તેના પરિવારના અન્ય ચાર સભ્યો સામે કેસ નોંધ્યો હતો. સુધીરને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે. ઉર્ષીના પરિવારે આરોપ લગાવ્યો છે કે દહેજ માટે તેની હત્યા કરવામાં આવી હતી.
પોલીસે બંને કેસમાં હત્યાનો કેસ નોંધ્યો છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે અને કેસની તપાસ ચાલુ છે.