નાણાકીય વર્ષના અંત તરફ વધતા દબાણને કારણે વિભાગે વેપારીઓ સામે ‘રિકવરી મોડ’માં આક્રમક કાર્યવાહી શરૂ કરી દીધી છે. માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ અનેક વેપારીઓને કોઈ પણ પ્રકારની નોટિસ અથવા સુનાવણી વિના તેમના બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે. ટેક્સ, વ્યાજ અને દંડની વસૂલાત માટે આવી અચાનક કાર્યવાહીથી વેપારી વર્ગમાં ભારે રોષ અને હતાશા જાવા મળી રહી છે.
સામાન્ય રીતે જીએસટી વિભાગ કોઈ પણ વેપારી સામે કાર્યવાહી કરે ત્યારે ત્રણ મુખ્ય પગલાં અનુસરે છે.જીએસટી પોર્ટલ પર નોટિસ અપલોડ કરવી,રજિસ્ટર્ડ સરનામે ઈમેલ/પોસ્ટ દ્વારા નોટિસ મોકલવી અને છેલ્લી તક આપીને વ્યક્તિગત સુનાવણી (પર્સનલ હિયરિંગ) કરવી. પરંતુ આ વર્ષે માર્ચના પહેલા પંદર દિવસમાં જ આ બધી પ્રક્રિયાઓને બાયપાસ કરીને સીધી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને જે વેપારીઓએ અગાઉની ડિમાન્ડ નોટિસ (ટેક્સ, વ્યાજ, દંડ) મેળવ્યા પછી અપીલ ન કરી હોય તેવા વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
જીએસટી એક્ટની કલમ ૭૯ અનુસાર રિકવરી માટે બેંક ખાતું જાડવા પહેલાં વેપારીને “છેલ્લી તક” આપવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટ અને અનેક હાઈકોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે વિના સુનાવણીએ કોઈપણ એકાઉન્ટ ફ્રીઝ કરવું કાનૂની રીતે અમાન્ય છે. છતાં વસૂલાતના ટાર્ગેટને કારણે વિભાગ આ નિયમોને અવગણી રહ્યો છે.
માર્ચ મહિનો નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોવાથી દરેક જિલ્લા અને રાજ્ય કમિશ્નરને “રેવન્યુ ટાર્ગેટ” પૂરા કરવાનું દબાણ હોય છે. આ દબાણને કારણે જ “એડિચોટી” (અધિકારીઓની આક્રમકતા) વધી જાય છે અને વેપારીઓ સૌથી વધુ પીડાય છે.ખાસ કરીને નાના અને મધ્યમ વેપારીઓ આનાથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. માર્ચમાં જ માલસામાનની ખરીદી, સ્ટોક ભરવો અને નવા ઓર્ડર્સ લેવાનો સમય હોય છે, પરંતુ ખાતું ફ્રીઝ થતાં આ બધી પ્રવૃત્તિ અટકી પડે છે.