જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર અને કટરા વચ્ચે તાજેતરમાં શરૂ થયેલી વંદે ભારત ટ્રેનની ખૂબ ચર્ચા થઈ રહી છે. પીએમ મોદીએ ૬ જૂને આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. હવે મંગળવારે નેશનલ કોન્ફરન્સ પાર્ટીના વડા ફારુક અબ્દુલ્લાએ પણ શ્રીનગરથી કટરા સુધીની વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ ટ્રેનમાં મુસાફરી કર્યા પછી, ફારુક અબ્દુલ્લા ખૂબ ખુશ અને ભાવુક દેખાતા હતા. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે કાશ્મીર આખરે દેશના રેલ નેટવર્ક સાથે જોડાયેલું જોઈને તેઓ ખૂબ જ ખુશ છે.

ફારુક અબ્દુલ્લા સવારે શ્રીનગરના નૌગામ રેલ્વે સ્ટેશન પર ગોળ ટોપી પહેરીને ટ્રેનમાં ચઢ્યા હતા. આ પછી, નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ કટરા ખાતે તેમનું સ્વાગત કર્યું. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે કાશ્મીરને દેશના રેલ નેટવર્ક સાથે જોડાયેલું જોઈને તેઓ ખૂબ જ અભિભૂત છે અને તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ છે. ફારુક અબ્દુલ્લાએ આ પ્રોજેક્ટમાં સામેલ એન્જીનિયરો અને કામદારોને પણ અભિનંદન આપ્યા.

નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ કહ્યું, “હું આ પર કામ કરનારા બધાનો આભાર માનું છું. મને યાદ છે કે ડા. મનમોહન સિંહજીએ આમાં ફાળો આપ્યો હતો. અટલ બિહારી વાજપેયીજીનું સ્વપ્ન હતું કે તેઓ ટ્રેન દ્વારા કાશ્મીર આવે પરંતુ તે પૂર્ણ થઈ શક્યુ નહીં પરંતુ આજે વડા પ્રધાન મોદીએ તે પૂર્ણ કર્યું છે. આ વિશ્વનો સૌથી ઊંચો પુલ છે. આજે મને તેના પર મુસાફરી કરવાનો આનંદ થયો.”

ફારુક અબ્દુલ્લાએ ટ્રેન સુવિધા શરૂ થવાને જનતાનો સૌથી મોટો વિજય ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે આનાથી મુસાફરી સરળ બનશે, વેપાર અને પર્યટનને પ્રોત્સાહન મળશે અને વિવિધ પ્રદેશો વચ્ચે પ્રેમ અને મિત્રતા પણ મજબૂત થશે. ફારુક અબ્દુલ્લાએ આશા વ્યક્ત કરી છે કે આગામી અમરનાથ યાત્રા દરમિયાન પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અમરનાથ ગુફા મંદિરના દર્શન માટે ટ્રેન સુવિધાનો ઉપયોગ કરશે.