મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મહાયુતિના ૨૩૦ ઉમેદવારો જીત્યા છે. આવી સ્થિતિમાં, વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડીના નેતાઓએ ઇવીએમ વીવીપીએટી એટલે કે વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ્સનાં યુનિટ્‌સ તપાસવાની માંગ કરી છે. શિવસેના યુબીટીમાંથી હારેલા ઘણા ઉમેદવારોએ આ બાબતે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે ચૂંટણી વિસ્તારોમાં ઈવીએમમાં ખામી હોવાની ફરિયાદો મળી છે. આવી સ્થિતિમાં ઈવીએમનું પરીક્ષણ કરવું જાઈએ. ઉદ્ધવ ઠાકરેના ઘરે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન નેતાઓએ મળ્યા હતા અને હાર પાછળના કારણો અંગે ચર્ચા કરી હતી, જેમાં ઉમેદવારોએ કહ્યું હતું કે ઈવીએમની તપાસ થવી જાઈએ.
મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોમાં શિવસેના, ભારતીય જનતા પાર્ટી, એનસીપી અને અજિત પવારના ગઠબંધનને જંગી જીત મળી છે. તેમણે ૨૮૮ વિધાનસભા બેઠકોમાંથી કુલ ૨૩૦ બેઠકો જીતી છે. જ્યારે મહાવિકાસ અઘાડીના માત્ર ૪૬ ઉમેદવારો જીત્યા છે. જેમાંથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ૨૦, કોંગ્રેસને ૧૬, જ્યારે એનસીપી શરદ પવારને ૧૦ બેઠકો મળી છે.
તેમાંથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના મહારાષ્ટ્રમાં સૌથી મોટા વિરોધ પક્ષ તરીકે ઉભરી આવી છે. મીડિયા એજન્સીના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ નેતા આરિફ નસીમ ખાને જણાવ્યું કે તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે ઈવીએમને લઈને ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે સ્થાનિક વિસ્તારોમાં ઈવીએમ સાથે છેડછાડની ફરિયાદો મળી છે.
તેમણે કહ્યું કે અમને રાજ્યના ઘણા ભાગોમાંથી પરિણામો અંગે ફરિયાદો મળી છે. ભારત એક લોકશાહી દેશ છે અને ફરિયાદોની તપાસ થવી જોઈએ કે તે સાચી છે કે ખોટી. તેમણે કહ્યું કે અમારી વચ્ચે ઘણા એવા લોકો છે જેમને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. હારનારાઓમાં મારો પણ સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને તેમણે કહ્યું કે તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઈવીએમ-કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને વીવીપીએટી ટેસ્ટિંગ એન્જીનિયરિંગ ટીમ દ્વારા કરવામાં આવે.