ગોપાલ ઇટાલીયાને જ્યારે જરૂર હતી, ત્યારે કેશુબાપાના આશીર્વાદ લેવા માટે ગયા હતા. કેશુબાપા ઓછું ભણ્યા હતા તેમાં ગોપાલ ઇટાલીયા ને વાંધો નહોતો
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી એ આજે ભાજપનો કદાવર ચહેરો છે. સરકારના સંકટ મોચક ગણાતા હર્ષ સંઘવી હાલમાં સૌથી એક્ટિવ મંત્રી છે. રાજ્યમાં કોમનવેલ્થ લાવવામાં એમનો સિંહફાળો છે. એમને વિદેશમાં જઈને પણ ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરવાની સાથે ફાંફડું અંગ્રેજી ફાડ્યું હોવા છતાં તેઓ ઓછું ભણેલા હોવાના નાતે વિરોધીઓ ઘણીવાર પસ્તાળ પાડે છે. આજે હર્ષ સંઘવી સામે આઇપીએસ પણ ૧૦ વાર વિચારીને બોલે છે. ગુજરાતનો આ યુવા ચહેરો એ રાષ્ટ્રીય લેવલે પણ નામના ધરાવે છે. આમ છતાં આજના આ વિધાનસભા સત્રમાં ગોપાલ ઈટાલીયાએ નાયબ મુખ્યમંત્રીના ભણતર પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા.
જાકે, ભાજપ પણ ગાંજ્યું જાય એમ ન હોવાથી ગોપાલ ઈટાલિયાને જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભામાં આકરો જવાબ આપ્યો હતો. ગોપાલ ઈટાલિયાએ ગૃહમાં કહ્યું હતું કે હું ગેજ્યુએટ છું બીએ.એલએલબી છું, મને ગર્વ છે કે હું ભણ્યો છું. હું ૮ પાસ નથી. જેના જવાબમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કેશુભાઈ પટેલ માત્ર ૪ પાસ જ હતા, ગોપાલ ઇટાલીયાને જ્યારે જરૂર હતી, ત્યારે કેશુબાપાના આશીર્વાદ લેવા માટે ગયા હતા. કેશુબાપા ઓછું ભણ્યા હતા તેમાં ગોપાલ ઇટાલીયા ને વાંધો નહોતો.
જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગોપાલ ઈટાલિયા પર પ્રહાર કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. વિઘાનસભાના સત્રમાં કહ્યું હતું કે, અમુક કહેવાતા ભણેલા લોકો ગૃહમાં હાજર છે. ગેજ્યુએટ થયેલા અને બીએ.એલએલબી થયેલા સભ્યના અભ્યાસક્રમમાં શું હશે તે ખબર નહિં. બીએ.એલએલબીના અભ્યાસક્રમમાં વિધાનસભામાં કોઈ પર જુતું મારવાંનું લખ્યું હશે કે નહીં તે ખબર નથી. વધુમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રહાર કરતા કહ્યું કે, કાયદાની વાત આવે ત્યાં કોઈ પર જુતું તો ન જ ફેંકાય. મુદ્દો ડાયવર્ટ કેમ કરવો તે ટ્રેનિંગ કદાચ તેમને દિલ્હીથી મળતી હશે.
ગોપાલ ઈટાલિયાએ વર્ષ ૨૦૧૭માં તત્કાલીન મંત્રી નીતિન પટેલને રાજ્યમાં પ્રાહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે ફોન કર્યો હતો. આ કોલનો ઓડિયો વાયરલ થયો હતો. જા કે, આ કારણસર ગોપાલ ઇટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી. આ વિવાદ બાદ ગોપાલ ઈટાલિયા એકાએક સોશિયલ મીડિયાથી લઈને જાહેર બાબતોમાં એક ચર્ચિત નામ બની ગયું હતું.
વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્્યું હતું. રાજ્યમાં ભ્રષ્ટાચારની સ્થિતિ મામલે વિરોધ દર્શાવવા ઇટાલિયાએ ભ્રષ્ટાચાર મુલ્તવી રાખોના નારા લગાવ્યા હતા. આ ઘટના પછી તેઓ ફરી એક વખત સમાચારની હેડલાઈન બન્યા હતા અને તેમની સામે કેસ પણ થયો હતો. હાલમાં ગોપાલ ઈટાલિયા એ આપના વિસાવદરથી ધારાસભ્ય હોવાના નાતે વિધાનસભામાં હાજરી આપે છે પણ આજે હર્ષ સંઘવીને ટાર્ગેટ કરતાં ગૃહમાં ભારે ચકમક જરી હતી. ગોપાલ ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રીને આડકતરી રીતે ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ભાજપે પણ વળતો જવાબ આપ્યો હતો.