ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, સરકારે પશ્ચિમ એશિયા સંઘર્ષથી ઉદ્ભવતા મુદ્દાઓ પર દેખરેખ રાખવા માટે એક આંતર-મંત્રી જૂથની રચના કરી છે. આ જૂથનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કરી રહ્યા છે. તેમાં ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી સહિત અન્ય મંત્રીઓનો સમાવેશ થાય છે.
આ સમિતિની રચના પહેલા સંસદમાં પશ્ચિમ એશિયા સંકટ પર બોલતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સરકારે એક આંતર-મંત્રી જૂથની રચના પણ કરી છે. આ જૂથ નિયમિતપણે મળે છે અને આપણા આયાત અને નિકાસ ક્ષેત્રોનો સામનો કરી રહેલી દરેક સમસ્યાનું મૂલ્યાંકન કરે છે અને જરૂરી ઉકેલો પર સતત કામ કરી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, “જેમ કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં પડકારોનો સામનો કરવા માટે નિકાસકારો અને અધિકારીઓના જૂથોની રચના કરવામાં આવી હતી, તેવી જ રીતે ગઈકાલે આવા સાત નવા જૂથોની રચના કરવામાં આવી છે. આ જૂથો સપ્લાય ચેઇન, પેટ્રોલ-ડીઝલ, ખાતર, ગેસ, ફુગાવા વગેરે જેવા મુદ્દાઓ પર ઝડપી અને લાંબા ગાળાની વ્યૂહરચના હેઠળ કાર્યવાહી કરવા માટે કામ કરશે. મને વિશ્વાસ છે કે આ સંયુક્ત પ્રયાસ દ્વારા, આપણે પરિસ્થિતિને વધુ સારી રીતે ઉકેલી શકીશું.”
પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે, અમેરિકી રાષ્ટ્રીપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે શાંતિ વાટાઘાટો શરૂ કરવાની પહેલ છતાં સંઘર્ષ ચાલુ છે. ઈરાને કોઈપણ દેશની શાંતિ વાટાઘાટો કે મધ્યસ્થી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
દરમિયાન, ઇઝરાયલી સંરક્ષણ દળોએ કહ્યું કે તેઓએ ઈરાનના યઝદમાં ઈરાની શાસનના મુખ્ય મિસાઇલ અને દરિયાઈ ખાણ ઉત્પાદન કેન્દ્ર પર હુમલો કર્યો.આઇડીએફએ દાવો કર્યો હતો કે આ કેન્દ્રનો ઉપયોગ ક્રુઝ પ્લેટફોર્મ, સબમરીન અને હેલિકોપ્ટરથી મોબાઇલ અને સ્થિર દરિયાઈ લક્ષ્યો પર હુમલો કરવા માટે અદ્યતન મિસાઇલોની યોજના બનાવવા, વિકસાવવા, એસેમ્બલ કરવા અને સંગ્રહ કરવા માટે કરવામાં આવતો હતો.