દેશની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સંરક્ષણ સંપાદન પરિષદ અનેક મુખ્ય સંરક્ષણ સોદાઓને મંજૂરી આપવા માટે તૈયાર છે. આમાં જી-૪૦૦ વાયુ સંરક્ષણ પ્રણાલી, બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલો, માનવરહિત લડાયક વિમાનો અને મધ્યમ પરિવહન વિમાન જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્‌સનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં ભારતીય વાયુસેના માટે ૬૦ મધ્યમ પરિવહન વિમાનો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી મળે તેવી શક્યતા છે. વધુમાં, એસ-૪૦૦ વાયુ સંરક્ષણ પ્રણાલીના પાંચ વધુ યુનિટ ખરીદવાની યોજનાને પણ મંજૂરી મળે તેવી શક્યતા છે.
બેઠકમાં ભારતીય વાયુસેના માટે સ્વદેશી રિમોટલી પાયલોટેડ સ્ટ્રાઇક એરક્રાફ્ટ (માનવરહિત લડાયક વિમાનો) ના લગભગ ચાર સ્ક્વોડ્રન ખરીદવાના પ્રસ્તાવ પર પણ વિચારણા કરવામાં આવશે. આ ડ્રોન ફાઇટર વિમાન આઇએએફની ક્ષમતાઓને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ મોટી સંખ્યામાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલો ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ મિસાઇલ ૮૦૦ કિલોમીટર સુધીના લક્ષ્યોને પ્રહાર કરી શકે છે. આ પ્રસ્તાવને આજે પણ મંજૂરી મળી શકે છે.ડીએસીએ સંરક્ષણ મંત્રાલયની અંદરની સર્વોચ્ચ સંસ્થા છે જે સશસ્ત્ર દળો માટે નવા શસ્ત્ર અને સાધનોની ખરીદી અંગે નિર્ણયો લે છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ત્રણેય સેનાના વડાઓ અને સંરક્ષણ સચિવ પણ હાજર રહેશે. એસ-૪૦૦ સુદર્શન વાયુ સંરક્ષણ પ્રણાલી અંગે, ભારત પહેલાથી જ પાંચ સિસ્ટમોની ડિલિવરીની રાહ જાઈ રહ્યું છે. ભારતીય વાયુસેના હાલમાં ચોથી સ્ક્વોડ્રન મેળવવા માટે રશિયામાં છે. ચોથી સિસ્ટમ એપ્રિલ-મેમાં આવવાની ધારણા છે, જ્યારે પાંચમી સિસ્ટમ નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં આવી શકે છે. પાંચ વધારાના યુનિટ ખરીદવાનો પ્રસ્તાવ હવે ડીએસી સમક્ષ છે.
વધુમાં, વાયુસેનાને સ્વદેશી લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ, પ્રોજેક્ટ કુશાના પાંચ સ્ક્વોડ્રન ખરીદવાની મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટ ડીઆરડીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. વાયુસેના મધ્યમ પરિવહન વિમાન કાર્યક્રમ હેઠળ ૬૦ વિમાન ખરીદવા માંગે છે. આ ટેન્ડર માટે બ્રાઝિલની કંપની એમ્બ્રેર, અમેરિકન કંપની લોકહીડ માર્ટિન અને રશિયન કંપની ઇલ્યુશિન મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. આ બેઠકમાં ભારતીય સેનાના ૩૦૦ સ્વદેશી રીતે નિર્મિત ધનુષ હોવિત્ઝર ખરીદવાના પ્રસ્તાવ પર ચર્ચા અને મંજૂરી થવાની પણ શક્્યતા છે.