દાહોદમાં મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચમાં મનરેગા હેઠળ રસ્તા અને અન્ય બાંધકામોમાં ગેરરીતિ આચરવામાં આવતા કૌભાંડની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. ભરૂચનાં ૫૬ ગામોમાં ૭ કરોડ ૩૦ લાખ રૂપિયાના કૌભાંડની ફરિયાદ નોંધાયા બાદ તપાસ તેજ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ૫૬ ગામોમાં મનરેગા કૌભાંડના આરોપોની તપાસની માગ કરવામાં આવી હતી. અલગ-અલગ એજન્સીઓએ સ્થળ પર કામ કરાવ્યા વિના સરકારને નકલી બિલ રજૂ કરીને ૭ કરોડ ૩૦ લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવતાં ભરૂચના સહાયક પ્રોજેક્ટ અધિકારીએ ગીર સોમનાથની બે એજન્સીઓ વિરુદ્ધ ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ શરૂ કરી હતી.
મકતમપુર જિલ્લા પંચાયતના રહેવાસી સહાયક પ્રોજેક્ટ અધિકારી પ્રતીક ચૌધરીએ ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે એજન્સીઓએ આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં મનરેગા યોજનામાં ગેરરીતિઓ કરવામાં આવી છે. જેમાં ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ માલ સપ્લાય કરતી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીઘર એન્ટરપ્રાઇઝ સામે ટેન્ડર સામે બિલ ચૂકવવા અંગે ભરૂચના સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા મળેલી રજૂઆત બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકાના ટીડીઓને નોટિસ આપીને તપાસ માટે સ્થળ પર આવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં, તેઓએ તપાસમાં સહકાર આપ્યો ન હતો અને ૫૬ ગામોમાં મનરેગા યોજનાનું કામ કરાવ્યા વિના સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી હતી. સુપાસી વેરાવળ ગીર સોમનાથ નાવના રહેવાસી જલારામ એન્ટરપ્રાઇઝના માલિક પિયુષ રતિલાલ નુકાણી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના માલિક જાધા ભાઈ નારણ સભાડ અને તપાસ દરમિયાન મળી આવેલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ આઉટસોર્સ કર્મચારીઓ અને અન્ય લોકો પર આઇપીસીની કલમ ૪૦૯, ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦, ૧૧૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલી રહી છે. મનરેગા કૌભાંડ દાહોદથી શરૂ થયું હતું અને જો દરેક જિલ્લામાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે.