બગસરાની શાકમાર્કેટમાં રાત્રિના સમયે વેપારીઓ દ્વારા રાખવામાં આવેલ રોકડા નાણા તથા શાકભાજીની ચોરી થવા લાગી છે જેને પગલે વેપારીઓ દ્વારા પોલીસને કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. વિગત અનુસાર છેલ્લા ઘણા દિવસોથી બગસરાની શાકભાજી માર્કેટમાં ચોરીનો સિલસિલો શરૂ થયો છે. વેપારીઓની રોકડ રકમ તેમજ મોંઘા ભાવની શાકભાજી રાત્રીના સમયે ચોરી લેવામાં આવે છે. આ બાબતે શાકભાજી માર્કેટના વેપારીઓ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી છે. જેમાં વેપારી શાંતિભાઈ ડાભી, સુરેશભાઈ નકુમ, યોગેશ કટેશીયા, ચિરાગ ખાંદલ, શેખ આરીફ શા, વસંત કટેશીયા, સહિતના ૫૦થી વધુ વેપારીઓને ત્યાં તારીખ ૧૧ ઓગસ્ટના રોજ સૌપ્રથમ વખત શાકમાર્કેટમાંથી શાકભાજીની ચોરી થઈ હતી. આ પછીથી વારંવાર રાત્રિના સમયે વેપારીઓના ગલ્લામાં રહેલ રોકડ અને માલસામાનની ચોર દ્વારા ઉઠાન્તરી કરવામાં આવી રહી છે. ચોરી કરનાર કોઈ જાણભેદુ હોવાની પૂરતી શંકા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.