શક્તિશાળી વાવાઝોડા કાલમેગીએ ફિલિપાઇન્સમાં ભારે તબાહી મચાવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૨૪૧ લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા ગુમ છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને, ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરે કટોકટીની સ્થિતી જાહેર કરી છે. અધિકારીઓનું કહેવું છે કે વાવાઝોડાને કારણે હજુ પણ ઘણા લોકો મદદ સુધી પહોંચી શકતા નથી. રેડ ક્રોસને મદદ માટે વિનંતી કરતા સેંકડો કોલ મળ્યા છે.ફિલિપાઇન્સની સેનાએ જણાવ્યું હતું કે મૃતકોમાં છ લોકોનો સમાવેશ થાય છે જેઓ કાલમેગીથી પ્રભાવિત પ્રાંતોમાં માનવતાવાદી સહાય પહોંચાડી રહેલા વાયુસેનાના હેલિકોપ્ટરમાં હતા. મંગળવારે દક્ષિણ અગુસાન ડેલ સુર પ્રાંતમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.હવામાન નિષ્ણાતોના મતે, વાવાઝોડું કાલમેગી દક્ષિણ ચીન સમુદ્ર તરફ આગળ વધ્યું છે, જેમાં ૧૩૦ થી ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. નાગરિક સંરક્ષણ કાર્યાલયના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર અને પ્રાંતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ મધ્ય પ્રાંત સેબુમાં થયા છે, જ્યાં વાવાઝોડાને કારણે અચાનક પૂર આવ્યું હતું અને નદીઓ છલકાઈ ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂરના કારણે રહેણાંક વિસ્તારો ડૂબી ગયા હતા, જેના કારણે ગભરાયેલા રહેવાસીઓને છત પર આશ્રય લેવાની ફરજ પડી હતી.સેબુના ગવર્નર પામેલા બારિકુઆટ્રોએ જણાવ્યું હતું કે વાવાઝોડા માટે તૈયારી કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ વાવાઝોડા દરમિયાન અચાનક પૂર આવ્યું. ૨.૪ મિલિયનથી વધુ વસ્તી ધરાવતો પ્રાંત, સેબુ હજુ પણ ૩૦ સપ્ટેમ્બરના રોજ આવેલા ૬.૯ તીવ્રતાના ભૂકંપમાંથી બહાર નીકળી રહ્યો છે, જેમાં ઓછામાં ઓછા ૭૯ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો વિસ્થાપિત થયા હતા.ગવર્નર બારિકુઆટ્રોએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપથી વિસ્થાપિત ઉત્તરી સેબુના હજારો રહેવાસીઓને વાવાઝોડા પહેલા કામચલાઉ તંબુ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. ભૂકંપથી તબાહ થયેલા ઉત્તરી નગરોમાં કાલમેગીના કારણે પૂરની અસર ઓછી થઈ છે.