બગસરામાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી શાળાઓના નવા મકાનો ફાયર NOC (એનઓસી)ના અભાવે એક વર્ષથી બિનઉપયોગી પડ્યા છે. શહેરની એકમાત્ર કન્યાશાળા અને તાલુકા શાળા બંનેના વિદ્યાર્થીઓ જૂના અને જર્જરિત મકાનોમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત જૂન માસમાં ફાયર NOCની અરજી નામંજૂર થઈ હોવા છતાં ઉપરી અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી નથી. આ બાબત કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગત હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે, જેથી વોરંટી પીરિયડ પૂરો કરી શકાય.કન્યાશાળાના આચાર્ય હિમાંશુભાઈ છાટબારે જણાવ્યું કે પૂરતી સુવિધાઓના અભાવે શાળા બે પાળીમાં ચલાવવી પડે છે, જે શિક્ષણ પર વિપરીત અસર કરે છે. વાલીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો મકાનો ઉપયોગમાં ન લેવાના હોય તો સરકારે કરોડોનો ખર્ચ શા માટે કર્યો?સ્થાનિક લોકોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે બંને શાળાઓને ફાયર NOC આપી મકાનો કાર્યરત કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત જળવાઈ રહે.