પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-અમેરિકા વેપાર કરાર માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો તેમણે વેપાર કરારના માળખા પરના કરારને બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં વધતા વિશ્વાસ અને ગતિશીલતાનું પ્રતીક ગણાવ્યું હતું
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યુંઃ “ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખૂબ જ સારા સમાચાર! અમે અમારા બે મહાન રાષ્ટ્રો વચ્ચે વચગાળાના વેપાર કરાર માટે એક માળખા પર સંમત થયા છીએ. હું અમારા બે દેશો વચ્ચેના મજબૂત સંબંધો પ્રત્યે રાષ્ટ્રપતિ ટ્રમ્પની વ્યક્તિગત પ્રતિબદ્ધતા બદલ આભાર માનું છું.”
પીએમ મોદીએ આગળ લખ્યું, “આ માળખું અમારી ભાગીદારીની વધતી ઊંડાઈ, વિશ્વાસ અને ગતિશીલતાને પ્રતિબિંબિત કરે છે.” તે ભારતના મહેનતુ ખેડૂતો, ઉદ્યોગસાહસિકો,એમએસએમઇ, સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ, માછીમારો અને અન્ય લોકો માટે નવી તકો ખોલીને ‘મેક ઇન ઇન્ડિયા’ને મજબૂત બનાવે છે. આ મહિલાઓ અને યુવાનો માટે મોટા પાયે રોજગારીનું સર્જન કરશે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે, અને આ માળખું આપણી રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને વધુ ગાઢ બનાવશે.”
મોદીએ લખ્યું, “આ માળખું મજબૂત અને વિશ્વસનીય સપ્લાય ચેઇનને પણ મજબૂત બનાવશે અને વૈશ્વીક વિકાસમાં યોગદાન આપશે. ભારત વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે અમે ભવિષ્યલક્ષી, આપણા લોકોને સશક્ત બનાવતી અને સહિયારી સમૃદ્ધિમાં ફાળો આપતી વૈશ્વીક ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતે શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ વચગાળાના વેપાર કરાર માટે એક માળખા પર સંમત થયા છે. આ કરાર હેઠળ, યુનાઇટેડ સ્ટેટ્સ ભારત પર ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કરશે. નિવેદન અનુસાર, આ માળખું ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ વ્યાપક યુએસ-ભારત દ્વિપક્ષીય વેપાર કરાર વાટાઘાટો પ્રત્યે બંને દેશોની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ માળખામાં વધારાની બજાર ઍક્સેસ પ્રતિબદ્ધતાઓ શામેલ હશે અને વધુ મજબૂત સપ્લાય ચેઇનને ટેકો મળશે. “યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેનો વચગાળાનો કરાર આપણા દેશોની ભાગીદારીમાં એક સીમાચિહ્નરૂપ રહેશે. તે પરસ્પર હિતો અને નક્કર પરિણામો પર આધારિત દ્વિપક્ષીય અને સંતુલિત વેપાર પ્રત્યેની અમારી સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે,” નિવેદનમાં જણાવાયું છે.






































