અમરેલીના દુધાળામાં નિર્માણ કરાયેલા ભારત માતા સરોવરનું લોકાર્પણ કરાયું હતું. ત્યાર બાદ લાઠીમાં આયોજિત કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના ૯ જિલ્લાના રૂ. ૪૮૦૦ કરોડના ૧૬૦૦ પ્રકલ્પનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી જિલ્લાની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દુધાળા ખાતે ગાગડીયો નદી પર નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિમોટની સ્વીચ દબાવી ૭૦ એકરમાં નિર્મિત અને ૨૪.૫૦ કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ ભારત માતા સરોવરની તકતીનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન સહિતના મહાનુભાવો આ તકે પ્રદર્શનીના માધ્યમથી ગાગડીયો નદીના નવસર્જન અને જળસંચયનાં કામોથી અવગત થયા હતા. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાતા સરોવર સહિતના જળસંચયના કામોનું નિરીક્ષણ પણ કર્યું હતું. ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી અમરેલી જિલ્લામાં ગાગડીયો નદીનું નવસર્જન થયું છે. બાબરાના ચમારડી ગામેથી ઉદભવતી ગાગડીયો નદી પર જળસંચયના કામોથી સરોવર -ચેકડેમની હારમાળા સર્જાઈ છે. ગાગડીયો નદી પર આશરે ૩૦ જેટલા ચેકડેમ સરોવર બાંધવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ગાગડીયો નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીથી આ વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. આ સાથે અમરેલી જિલ્લાના લાઠી- લીલીયા તાલુકાના ખેડૂતોને પરોક્ષ સિંચાઈનો લાભ મળી રહ્યો છે. ગાગડીયો નદી પર જળરાશિથી છલોછલ ભરેલા સરોવર-ચેકડેમથી નયનરમ્ય નજારો સર્જી રહ્યા છે.ભારતમાતા સરોવરની લોકાર્પણ વેળાએ રાજ્યના જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રૂ.૩૫ કરોડના ખર્ચે લાઠીના દુધાળા ખાતે હેતની હવેલી પાસે ભારતમાતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોટરશેડ ડિપાર્ટમેન્ટ હસ્તકના ૪.૫૦ કરોડ લીટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતા ચેકડેમને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ઊંડો કરવામાં આવ્યો છે. આ સાથે તેની પહોળાઈ પણ વધારવામાં આવી છે. ચેકડેમની બંને બાજુએ માટી નાખીને તેની મજબૂતાઈમાં વધારો કરવામાં આવ્યો છે. તેના પરિણામે ચેકડેમની પાણીની સંગ્રહશક્તિમાં ૨૦ કરોડ લીટરનો વધારો થયો છે. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ભરતભાઈ સુતરિયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, રામભાઈ મોકરિયા, પૂનમબહેન માડમ, કેસરીદેવસિંહ ઝાલા, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જુનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ઈફકોના ચેરમેન દિલિપભાઈ સંઘાણી, ધારાસભ્ય જે.વી.કાકડિયા, કૌશિક વેકરિયા, જનકભાઈ તળાવિયા, મહેશભાઈ કસવાલા, હિરાભાઈ સોલંકી, ડા.દર્શિતાબહેન શાહ તેમજ બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખઓ, મહાનુભાવો, પદાધિકારીઓ-અધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ જનસભામાં શું કહ્યુ…
ભારત માતા સરોવરના લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી મોદીએ જનસભાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ‘દેશ અને દુનિયાને ભારતની આ ગૌરવશાળી સમુદ્રી વિરાસતથી પરિચિત કરવાનો પ્રયાસ છે. દરેક પરિવારને વર્ષે વીજળીના બીલના ૨૫ થી ૩૦ હજાર બચે અને એટલું જ નહીં વધારાની વીજળી વેચીને કમાણી કરે તેવું મોટુ કામ આપણે ઉપાડ્યું છે. અત્યાર સુધીમાં લગભગ દોઢ કરોડ પરિવારે પીએમ સૂર્ય ઘર યોજના માટે નોંધણી કરાવી છે. ગુજરાતમાં બે લાખ ઘરો પર સોલાર પેનલ લાગી ગઈ છે. દુધાળા ગામમાં પીએમ સૂર્ય ઘર યોજનાના કારણે દર મહિને ૭૫ હજાર બચવાના છે.’ દુધાળા ગામ અમરેલીનું પ્રથમ સોલાર વિલેજ બની રહ્યું છે તે માટે વડાપ્રધાને ગોવિંદભાઈને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, ‘જાફરાબાદના બાજરાના તો હું દિલ્હીમાં વખાણ કરતો હોઉ છું. હિરાભાઈ મને મોકલાવતા હોય છે.’ ઉપરાંત કહ્યું કે, ‘અમરેલીની કેસર કેરીને હવે GI ટેગ મળ્યો છે. જેના કારણે દુનિયાભરમાં અમરેલીની કેસર કેરીની GI ટેગ સાથે આબરું ઉભી થઈ છે અને તેની સાથે ઓળખ જોડાઈ ગઈ છે. આઝાદીના ૭૫ વર્ષ થયા ત્યારે સરકાર જાતજાતના કાર્યક્રમો કરી શકી હોત. પણ અમે એ ન કર્યું. અમે ગામડે ગામડે
અમૃત સરોવર બનાવવાની યોજના બનાવી. જેનાથી પાણીના તળ ઉપર આવ્યા છે. એક સમયે પાણીના અભાવે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો પલાયન કરતા હતા એ દિવસો આપણે જોયા છે.’ વધુમાં કહ્યું કે, ‘આજના ૧૮-૨૦ વર્ષના જુવાનીયાને ખબર નહીં હોય કે પાણી વગર એક સમયે લોકો કેવા તરસતા હતા. આજે તો નળ ચાલુ કરીને ફૂવારાથી ન્હાતા હશે. પણ એક સમયે તેના માતાને બેડા ઉંચકીને ત્રણ ચાર કિમી દૂર પાણી લેવા જવું પડતું હતું. એક સમય હતો કે નર્મદાની પરિક્રમા જઈએ ત્યારે કહે કે પૂણ્ય મળે. યુગ બદલાયો માતા નર્મદા ખુદ પરિક્રમા કરીને ગામડે ગામડે પહોંચીને પાણી વહેંચી રહી છે. મેં સૌની યોજના લોન્ચ કરી ત્યારે કોઈ માનવા તૈયાર ન હતું કે આવું કંઈ થઈ શકે. પણ આ સૌની યોજનાએ કચ્છ સૌરાષ્ટ્રને નવું જીવન આપી દીધું. ધોળકીયા પરિવારે નદીઓને જીવતી કરી. નદીઓને જીવતી કરવાનો આ જ રસ્તો છે. આપણે નર્મદાથી ૨૦ નદીઓે જોડી હતી અને નદીઓમાં નાના તળાવો બનાવવાની આપણી કલ્પના હતી. જેથી માઈલો સુધી પાણીને સાચવી શકે. પાણી જમીનમાં ઉતરે એટલે અમી આવ્યા વગર રહે જ નહીં. પાણીનું શું મહત્વ છે તે ગુજરાત કે સૌરાષ્ટ્રના લોકોને સમજાવવું ન પડે.’ વડાપ્રધાને અમરેલીની ધરતી પર જન્મ લેનારા અને દુનિયાભરમાં અમરેલીનું નામ રોશન કરનારા ભોજા ભગત, યોગીજી મહારાજ, દુલા ભાયા કાગ, કલાપી, રમેશ પારેખ, જાદુગર કે.લાલ, પૂર્વ મુખ્યમંત્રી જીવરાજ મહેતાને યાદ કર્યા હતા.