તાજેતરની મહારાષ્ટ્ર, ઝારખંડ અને દેશના અન્ય ભાગોની ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ યોજાઈ ગઈ. આ ચૂંટણીઓમાં ઉત્તરપ્રદેશમાં નવ વિધાનસભાની સીટ પર પણ મુકાબલો હતો. પરિણામ બાદ બહુજન સમાજ પાર્ટી તરફથી બધી સીટ પર ઉમેદવાર લડાવવામાં આવ્યા હતા. બહુજન સમાજ પાર્ટી જે સંકટમાંથી પસાર થઇ રહી છે એ આ ચૂંટણીમાં પણ કાયમ રહ્યું છે. દરેક ચૂંટણીની જેમ બસપા ઉમેદવાર ત્રીજા નંબરે રહ્યા છે. છેલ્લી કેટલીય ચૂંટણીઓમાં બસપાના કોઈ પણ ઉમેદવારે બીજા નંબર પર વોટ મેળવ્યા નથી. આ પેટાચૂંટણીમાં મોટા દાવાઓ સાથે બસપાએ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ પરિણામ બસપા માટે ખુબ નિરાશાજનક રહ્યું. ૨૦૨૪ની લોકસભા પછી વિધાનસભા અને હવે આ પેટાચૂંટણીમાં બસપાની હાલત નાજૂક થતી ચાલી છે. બહુજન સમાજ પાર્ટીને આ પેટાચૂંટણીમાં એક પણ બેઠક મળી નહીં અને વોટની ટકાવારી તળિયે પહોચી ગઈ. કાંસીરામના નેતૃત્વમાં એક સમયે બસપા દલિતોના પક્ષ તરીકે પ્રબળ રાજકીય વજૂદ લઈને ઉભરી આવ્યો હતો. ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં સંપૂર્ણ બહુમત સાથે બસપાએ પાંચ વર્ષ સરકાર ચલાવી હતી. ૨૦૦૯ લોકસભામાં વોટશેર પ્રાપ્ત કરવામાં દેશમાં કોંગ્રેસ અને ભાજપા બાદ ત્રીજા નંબરની પાર્ટી હતી. ૨૧ લોકસભા સદસ્યો ચૂંટાઈ આવ્યા હતા. જાતિ વર્ગ આધારિત રાજનીતિથી વ્યક્તિગત રાજનીતિ તરફ પક્ષ ધકેલાતો ગયો અને આજે એવો દિવસ આવ્યો કે આવડા મોટા વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરતો પક્ષ રાજકીય અસ્તાચળ તરફ ગતિ કરી ગયો. કરુણતા ત્યાં સુધી પહોચી કે પક્ષે જાહેર કર્યું કે હવે પક્ષ કોઈ પેટાચૂંટણી નહિ લડે. ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય સ્તરે ઉદય સાથે આ સિલસિલો સમાંતર ચાલ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ સિનારિયો વધુ ઘટ્ટ થયો છે. ઉદ્ધવ શિવસેના અને શરદ પવારની એનસીપી આ ચૂંટણીમાં જનાધાર ગુમાવી ચૂકી છે. વંશ વારસાગત રાજનીતિ હવે ઉત્તરાધિકારી સક્ષમ હોય તો જ ચાલી શકે તેમ છે. કૂવામાં હોય એવું અવેડામાં આવ્યું હોય, એ જેવું આવ્યું હોય એવું પ્રજાના માથે ફટકારી શકાય તેમ નથી. કોઈ પરિવારના બોદા દિશાશૂન્યને પ્રજા નેતા બનાવી દે એ વાતમાં માલ નથી. બાલાસાહેબ ઠાકરેની વિચારધારાથી ફંટાઈને શિવસેનાનું કોઈ વજૂદ બચતું નથી. પુત્ર અને પૌત્ર બંને થઈને પણ જનાધાર બચાવી શકતા નથી. જે શરદ પવાર એક વખત રાષ્ટ્રીય રાજનીતિમાં ટોપ ફાઈવમાં દબદબો ધરાવતા હતા એ આજે પોતાનું રાજ્ય બચાવી શકતા નથી. મુખ્યમંત્રી બનવાના કોડ ધરાવતા હતા એ આજે વિપક્ષના નેતા તરીકે બેસી શકે એ લાયકાતની જમીન પણ પ્રજાએ પગ નીચેથી ખેંચી લીધી છે. પક્ષની વિચારધારા ઉપર પક્ષના આગેવાનની મહત્વકાંક્ષા હાવી થઇ જાય ત્યારે પક્ષના અસ્તિત્વ સામે ખતરો ઉભો થઇ જાય છે. ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બની રહેવું હતું એટલે શિવસેનાની મુખ્ય વિચારધારા, હાર્ડ હિન્દુત્વની લાઈન પક્ષ પાસેથી છોડાવી દીધી. એનું પરિણામ એ આવ્યું કે કાર્યકર્તાઓનો જે વર્ગ બાળાસાહેબને સમર્પિત હતો એ પક્ષથી છેડો ફાડી ગયો. પરિણામે દેશના સૌ પહેલા ખુલીને હાર્ડ હિન્દુત્વની ધરી પર ચાલતા પક્ષના પરિવાર અને વિચારધારા રૂપે બે ફાડિયા થઇ ગયા. ચૂંટણીમાં પ્રજાએ પક્ષની વિચારધારા પસંદ કરી અને પરિવારને જાકારો આપ્યો. બાળાસાહેબ અને તેની વિચારધારા જીતી. બાળાસાહેબના વારસો હાર્યા.
ઘણા ક્ષેત્રીય પક્ષો ધીમે ધીમે સંકેલતા જઈ રહ્યા છે. જ્યાં સુધી વ્યક્તિનો પ્રભાવ છવાયેલો હોય ત્યાં સુધી પક્ષને વાંધો આવતો નથી. જ્યાં સુધી વિચારધારા પર પક્ષ કાયમ હોય ત્યાં સુધી પણ અસ્તિત્વ બની રહે છે. દેશના મિજાજ સાથે મેળ ખાતી વિચારધારાને વળગી રહેવાથી શું થઇ શકે છે ? ૧૯૫૨માં ૯૩ સીટ પર લોકસભા લડેલા જનસંઘના બે ઉમેદવાર જીત્યા હતા. એ જનસંઘ એ જ વિચારધારા સાથે ભાજપ સ્વરૂપે ૧૯૮૪માં ત્રણ દાયકા ઉપરાંતના સમય બાદ સવા બસ્સો ઉમેદવાર સાથે લોકસભા લડ્‌યો અને ફરી જીત્યા બે જ. એ પક્ષ બે વખત પૂર્ણ બહુમત અને ત્રીજી વખત ગઠબંધન બહુમત સાથે ત્રીજો વડાપ્રધાન સતત આપે છે. સામા છેડે કોંગ્રેસ જેવો સૌથી મોટો અને લાંબી રાજકીય મજલ કાપેલો પક્ષ અસ્તિત્વ બચાવવા સતત ફાંફા મારી રહ્યો છે. કારણ છે, દિશાશૂન્ય નેતાગીરી, આંધળો પરિવારવાદ, અને વિચારધારાનો શૂન્યવકાશ. એક સમય હતો જયારે કોંગ્રસ પાસે અનુભવી નેતાગીરીની એક લાંબી અને સક્ષમ હરોળ હતી. તેની નીચે એક ઉભરતા યુવા નેતાઓની એક કતાર હતી. એક વ્યક્તિને સાબિત કરવામાં બંને કતાર નામશેષ થઇ ગઈ. ગરીબી હટાઓ જેવા નારાને ચોક્કસ વર્ગ સુધી ખેંચી જઈને બહુમત જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો. જમીન પર કામ કરતા કાર્યકર્તાઓ પરિવારવાદ અને બહુમત પ્રજાને સતત આહત કરતી રહેતી શીર્ષસ્થ નેતાગીરીની માનસિકતાના કારણે અલવિદા કહી ગયા. કારણકે એમને ખબર હતી કે સત્તાની આ સીડી એમના માટે એક ચોક્કસ જગ્યા પર આવીને પૂરી થઇ જાય છે. કોઈ ચમરબંધી ત્યાંથી આગળ જઈ શકતું નથી.
આવનારા સમયમાં રાજનીતિમાં બંધ મુઠ્ઠી રાખીને પ્રવેશ નહિ મળે. વ્યક્તિગત વિચારધારાને સ્થાન નહિ મળે. અર્ધશિક્ષિત, અર્ધદીક્ષિત, અપરિપક્વ, વાહિયાત, મૂઢ રાજકીય વારસદારને સ્થાન ટકાવવું અઘરું થઇ રહેશે. હિન્દુસ્તાનમાં પ્રજાનો રાજકીય વિવેકબુદ્ધિ જાગૃતિકાળ ચાલી રહ્યો છે. સારા માણસો કહી રહ્યા છે કે ફલાણું ફલાણું નઠારું છે. એ જનતા સ્વીકારી રહી છે. લાંબા કાલખંડની દેશહિતની વિચારધારાઓ જનતા પિછાણી શકે એટલો રાજકીય અજવાસ થઇ ચુક્યો છે. આગેવાનની ચાલ પરથી પાછળ આવતો કારવાંનો આદમી તેની દાનત પારખી રહ્યો છે. આ આછી પાતળી બહુમતીઓનો ખેલ નથી. પ્રજામાનસમાં જે પીંડ બંધાતા વર્ષો લાગે છે, એ પછી વર્ષો સુધી ટકે પણ છે. એક શાંત બહુમતી સપાટીની નીચે જયારે ફાટી જાય છે ત્યારે રાજકીય પ્રલોભનો, પ્રભાવો, પ્રતિભાઓ બધું ગૌણ બની જાય છે. ક્વિક નોટ – “ જયારે ખોટા રાજકીય ફિતૂરમાં અને રાજકીય દૂરદ્રષ્ટિના અભાવે કોંગ્રેસના લગભગ બધા જ નેતાઓ ઇન્ડિયન આર્મીના બધા જ સૈનિકોને ભાડૂતી કહીને બદનામ કરી રહ્યા છે ત્યારે અત્યંત ખુશીની વાત એ છે કે વીર સાવરકર નિર્ભય થઈને હિન્દુસ્તાનના જવાનોને લશ્કરમાં જોડાવા અનુરોધ કરી રહ્યા છે. આ ભરતી થયેલા જવાનોમાંથી આપણને તાલીમબદ્ધ માણસો મળશે. જેમાંથી આપણે ઇન્ડિયન નેશનલ આર્મી માટે સૈનિકો મેળવી શકીશું.” – સુભાષચન્દ્ર બોઝ