આતંકવાદને આશ્રય આપતો દેશ પાકિસ્તાન હાલમાં ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ભારત દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી પછી પાકિસ્તાન થોડું સ્વસ્થ થયું હતું ત્યારે દેશમાં બીજા બોમ્બ વિસ્ફોટથી તે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ખરેખર, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં એક આત્મઘાતી વિસ્ફોટ થયો છે. આ આત્મઘાતી હુમલામાં બે પોલીસકર્મીઓના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
આ આત્મઘાતી હુમલો રવિવારે રાત્રે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં થયો હતો. સ્થાનિક અધિકારીઓએ માહિતી આપી છે કે આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે પોલીસકર્મીઓ માર્યા ગયા છે. તે જ સમયે, અન્ય ૩ લોકો ઘાયલ થયા છે. હુમલાખોરે પેશાવરના ચમકાની પોલીસ સ્ટેશન હેઠળના પશુ બજાર પાસે પાર્ક કરેલી પોલીસ મોબાઇલ વાન પર હુમલો કર્યો.
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે રવિવારે થયેલા આ આત્મઘાતી હુમલાની નિંદા કરી છે. તેમણે આ સમગ્ર ઘટના અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે. મુખ્યમંત્રીએ બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા બે પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે આવા કાયર હુમલાઓથી પોલીસનું મનોબળ ઓછું થશે નહીં.
આતંકવાદીઓને આશ્રય આપવો એ પાકિસ્તાન માટે જ મોંઘુ સાબિત થઈ રહ્યું છે. પાકિસ્તાન ઇન્સ્ટીટ્યૂટ ફોર કોન્ફિલક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ નામની થિંક ટેન્કે આ અંગે મહત્વપૂર્ણ ડેટા રજૂ કર્યો છે. આ મુજબ, પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં ભારે વધારો થયો છે. ગયા મહિનાની સરખામણીમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં ૪૨ ટકાનો વધારો થયો છે.